વ્યાજખોરોની ચુંગાલમા અનેક લોકોએ આપઘાત કરી લીધા હશે, પરંતુ તંત્રનો પનો કેમ ટુંકો પડે છે ?

Share this story

Many people may have committed suicide

  • સરકાર ભલે ગમે તેટલી જાહેરાતો કરે પરંતુ ગરીબ, મધ્યમવર્ગી શ્રમજીવીઓને બેંકો લોન આપતી નથી અને એટલે જ વ્યાજખોરોની દુકાનો બંધ થતી નથી
  • ડ્રગ્સ અને દારૂ કરતાં વ્યાજખોરીનું દૂષણ વધુ ભયાનક છે, પરંતુ કાયદો મજબૂર લોકોને કેમ રક્ષણ આપી શકતો નથી
  • શાકભાજીનો ફેરિયો કે કટલરીનો સામાન વેચતો લારીવાળો કે ઘરમાં વેપાર કરતાં શ્રમજીવીઓના જીવનમાં ડોકિયું કરવામાં આવે તો એકપણ વ્યાજખોરોની ચુંગાલની બહાર જોવા નહીં મળે
  • શેર દલાલ પ્રવીણ કુંભાણી ગૃહમંત્રી હર્ષ સંઘવી, કોર્પોરેટર દક્ષેશ માવાણી સહિતની વગ ધરાવતો હતો છતાં આપઘાત કરવો પડ્યો! આ ઘટના જ વ્યાજખોરીનો જીવંત પુરાવો માની શકાય.

પોલીસ કમિ. અજયકુમાર તોમરના (Police Comm. Ajay Kumar Tomar) લાખ પ્રયત્નો છતાં સુરતમાં ખાનગી વ્યાજખોરીનો (Private usury) ધંધો હજુ પણ ધમધમી રહ્યો છે. જે લોકોને બેંક કે નાણાંકીય સંસ્થાઓમાંથી ધિરાણ મળવાનુ શક્ય નથી આવા સેંકડો મધ્યમવર્ગનાં લોકો માથા ફરેલા વ્યાજખોરોની (Usury) ચુંગાલમાં ફસાઈને સબડી રહ્યાં છે. વ્યાજે આપેલી રકમ ખૂબ જ નાની હોય છે, પરંતુ વ્યાજનો દર ચામડી ઉતરડી નાંખે તેવો હોય છે. વળી આ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ (Police complaint) કરવાની ભાગ્યે જ કોઈ હિંમત કરે છે. કારણ કે, પોલીસ પાસે ન્યાય મળવાની અપેક્ષા કરતાં વ્યાજખોરોનો ભય વધારે હોય છે.

આ વ્યાજખોરો એટલી હદે પહોંચેલા હોય છે કે, ઘણી વખત પોલીસ અને પોલીટિ‌િશયન પણ ખિસ્સામાં હોવાનો દાવો કરતા હોય છે. વળી બારીકાઈથી જોવામાં આવે તો પોલીસ પણ આવી ઘટનાઓમાં ગુના દાખલ કરવાનુ ટાળતી હોય છે. પરિણામે શોષણખોરો સામે ફરિયાદ કરવાની હિંમત કરનાર પણ મનવાળીને વ્યાજખોરોની શરણાગતિ સ્વીકારે છે.

નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારી બાદ કથળેલી આર્થિક વ્યવસ્થાએ મધ્યમવર્ગના અનેક લોકોને પાયમાલ કરી નાંખ્યા છે. આવકના નામે શૂન્ય અને ઘર ચલાવવા માટે નાણાંની જરૂરિયાત હોવાથી ચામડી ઉતરડી નાંખતા વ્યાજખોરોના શરણે ગયા વગર છુટકો નથી. બેંકમાંથી લાખો, કરોડોનું ધિરાણ મેળવનાર ‘નાદારી’ નોંધાવી શકે, પરંતુ ખાનગી વ્યાજખોરો સામે ‘નાદારી’ નોંધાવવી એટલે મોત કરતા પણ બદ્‍તર હાલત થાય છે અને આખરે વ્યાજખોરોની ચુંગાલમાંથી છુટકારો મેળવવા માટે મજબૂર વ્યક્તિ પાસે ‘આપઘાત’ સિવાય કોઈ જ માર્ગ રહેતો નથી. વળી, વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરનારા પૈકી મોટાભાગની ઘટનાની નોંધ સુદ્ધા લેવામાં આવતી નથી. કારણ ગરીબ, મધ્યમવર્ગના મજબૂર માણસના આપઘાતનું કારણ જાણવાની કોને પડી હોય?

પરંતુ આપઘાત કરનાર વ્યક્તિના પરિવારમાં ડોકિયું કરવામાં આવે તો જ આપઘાત પાછળનું દર્દ સમજી શકાય.
સુરતના યુવા ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છે. કોઈની બહેન-દિકરીનું અપહરણ કે કોઈ ગરીબ વ્યક્તિના આપઘાતની ઘટનાને લઈને તેમનો આત્મા દ્રવી ઊઠે છે. પરંતુ રાજસત્તાની ગલીયારીમાં તેમની માનસિક સ્થિતિ બદલાઈ હશે અથવા તો રાજ્યમાં બનતી મજબૂર લોકોના આપઘાતની ઘટનાઓ તેમના સુધી પહોંચતી પણ નહીં હોય, પરંતુ પ્રત્યેક આપઘાત પાછળના દર્દનું ‘પોસ્ટમોર્ટમ’ કરવામાં આવે તો ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગી પરિવારોમાં ખદબદતી શોષણની અનેક ઘટનાઓ બહાર આવશે.
સાથે મજબૂર લોકોનું આર્થિક સહિત શારીરિક શોષણ થઈ રહ્યું હોવાના બિહામણા દૃશ્યો સામે આવશે. આવા પૃથ્થકરણમાંથી સરકારની ખરેખર નિયત હશે તો ગુજરાતના સામાન્ય જનજીવનની ભીતરમાં ખદબદતા શોષણના દાવાનળનો કોઈ કાયદાકીય ઉપાય શોધવાનો રસ્તો મળી જશે. અન્યથા આપઘાતની અનેક ઘટનાઓ પોલીસના દફતરે નોંધાઈને ભૂતકાળમાં ભંડારાઈ જશે.

ગુજરાતમાં ડ્રગ્સ અને શરાબને નિયંત્રણમાં લાવવા પગલાં ભરી શકાતા હોય તો ડ્રગ્સ અને શરાબ કરતા પણ ભયાનક ‘વ્યાજખોરી’ના દુષણને કેમ નાબૂદ કરી શકાય નહીં. દારૂ અને ડ્રગ્સની માફક વ્યાજખોરીનો ધંધો પણ ખાનગી નથી. જાહેરમાર્ગો ઉપર ઊભા રહીને શાકભાજી વેચતા લારીવાળા કે શહેરમાં ફરીને કટલરીનો સામાન વેચતા ફેરિયાઓ કે ઘરમાં પરચુરણ વેપાર કરતી ગૃહિણીઓના જીવનમાં ડોકિયું કરવામાં આવશે તો વ્યાજખોરોનો બિહામણો ચહેરો નજર સામે તરી આવશે. શાકભાજીવાળાને સવારે ૯૦ રૂપિયા આપીને સાંજના ૧૦૦ રૂપિયા વસૂલી લેતા વ્યાજખોરો હવે ખાનગી રહ્યાં છે. કારણ કે, રોજનું કમાઈને રોજ ખાનારાઓને બેંક ધિરાણ આપવાની નથી. સરકાર ભલે મોટી મોટી જાહેરાતો કરતી હોય પરંતુ બેંકમાં લોન લેવા જાવ ત્યારે ખબર પડે કે લોન લેવાનું કામ આસાન નથી. અને એટલે જ હાથવગુ સાધન વ્યાજખોરો જ હોય છે. બલ્કે, ગરીબો, મધ્યમવર્ગીઓ માટે આ અનિવાર્ય ન્યુસન્સ છે.

ખેર, આજે કતારગામ વિસ્તારમાં રહેતાં શેરદલાલે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ પ્રવીણ કુંભાણી નામનો શેર દલાલ ભાજપના કોર્પોરેટર દક્ષેશ માવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચવાની વગ ધરાવતો હતો અને છતાં આપઘાત કરવો પડ્યો. આનાથી કઈ મોટી વિટંબણા હોઈ શકે? પ્રવીણ કુંભાણીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી એટલે વ્યાજખોરીની ઘટના સામે આવી અન્યથા આવા ઘણાં લોકો મજબૂરીવશ આપઘાત કરી લેતા હશે. જેની પોલીસ સહિત કોઈ નોંધ સુદ્ધા પણ લેતુ નહીં હોય.

પોલીસ કેટલી હદે ફરિયાદ લેવાનુ ટાળે છે તેનું થોડા દિવસ પહેલાનુ જ એક જીવંત ઉદાહરણ છે. મોટાવરાછા વિસ્તારમાં એક બિલ્ડરે ફેબ્રિકેશન કામની મજુરી પેટે એક ફે‌બ્રિકેટર્સને ફ્લેટ જમામાં આપ્યો અને ફેબ્રિકેટર્સ આ ફ્લેટ અન્ય પાર્ટીને બિલ્ડરની સંમતિ સાથે વેચીને પોતાની મજુરી પેટેના નાણાં વસુલી લીધાં.

પરંતુ માની શકાય નહીં તેમ છતાં આ બિલ્ડરે ફ્લેટ ખરીદનારની જાણ બહાર બીજી વ્યક્તિને ફ્લેટનો દસ્તાવેજ કરી આપ્યો અને ફ્લેટ ખરીદનારે ફ્લેટ ગીરવે મુકીને બેંકમાંથી લોન પણ લઈ લીધી! પરંતુ હપ્‍તા નહીં ભરતા બેંકવાળા ઘરને સીલ મારવા અને લોનના હપ્‍તાની ઉઘરાણી કરવા ગયા ત્યારે અગાઉ ફ્લેટ ખરીદનારને ખબર પડી કે તે જે ફ્લેટમાં રહે છે અને પોતાની માલિકીનો માને છે એ ફ્લેટ બિલ્ડરે બીજાને વેચી દીધો છે અને ફ્લેટ ઉપર લોન પણ લઈ લીધી છે!

દેખિતી આંખમાં ધૂળ નાંખીને છેતરપિંડી કરવામાં આવી હોવા છતાં પોલીસ આ ઘટનાને ગંભીર ગણતી નથી. બલ્કે એવું પણ બને કે પોલીસનો સહયોગ લઈને બેંક ફ્લેટ ખાલી કરાવીને પેલા પરિવારને રોડ ઉપર રઝળતુ કરી દેશે તો પણ નવાઈ નહીં હોય.

ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પો.કમિ. અજયકુમાર તોમર પોલીસમાં શિસ્ત અને સંવેદનશીલ બનાવવા ભલે લાખ પ્રયાસો કરતાં હોય, પરંતુ સમાજમાં ‘ખાદી’ અને ‘ખાખી’ સાથે ઘરેબો ધરાવતા દલાલો અને ‘ભ્રષ્ટાચાર’ના દૈત્યને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી મજબૂર લોકોના આપઘાતનો સીલસીલો ચાલુ જ રહેશે. અલબત સરકાર અને અધિકારીઓ ઈચ્છે તો સામાજિક દુષણનો ચોક્કસ અંત લાવી શકાય.

આ પણ વાંચો :-