હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો ’ટોલ ટેક્સ’ વસૂલશે નહીં. ઈરાને ભારતને પોતાનો અત્યંત વિશ્વસનીય સાથી ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે.
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમે ભારત સરકારને પૂછી શકો છો કે શું અમે અત્યાર સુધી કોઈ રકમ વસૂલી છે? મુશ્કેલ સમયમાં પણ અમારા સંબંધો મજબૂત છે. અમારું માનવું છે કે ભારત અને ઈરાનના હિતો એક સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જહાજોને ભવિષ્યમાં પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે.
આ એલાન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરો પર સંપૂર્ણ નાકેબંધી જાહેર કરી છે. આ દરમિયાન ભારતના જળમાર્ગ મંત્રાલયે માહિતી આપી છે કે હોર્મુઝમાં ફસાયેલા 15 ભારતીય જહાજોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે મળીને પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બીજી તરફ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ઈરાન પરની અમેરિકી નાકેબંધીને સમર્થન આપવાનો ઈનકાર કર્યો છે.
ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ’ઓપરેશન બ્લોકેડ’ શરૂૂ કરી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ નાકાબંધીમાં અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ્સ ઋ-35ઇ આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.