ઓપરેશન સિંદૂરને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંઘર્વષને પગલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ ટુર્નામેન્ટ મુલતવી રાખી છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે નવી તારીખો આપી નથી. હજુ પણ 12 લીગ મેચ બાકી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 25 મે ના રોજ યોજાવાની હતી.
BCCI ના સૂત્રે મીડિયાને આપેલી માહિતી મુજબ દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ક્રિકેટ ચાલે એ બહુ યોગ્ય નથી.
યાદ રહે કે 7 એપ્રિલે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન તથા પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના 9 સ્થળોએ હુમલા કર્યા હતા. એ બાદ પાકિસ્તાને 8 મે ના રોજ રાત્રે લગભગ 8.30 વાગ્યે ભારતના જમ્મુ, પંજાબ અને રાજસ્થાનની સરહદ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. પરંતુ પાકિસ્તાને કરેલા હુમલાને પગલે એ મેચ રદ કરવી પડી હતી.
પંજાબે પહેલા બેટિંગ કરતા 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન કર્યા હતા, ત્યારબાદ મેચ બંધ કરીને મેદાનની ફ્લડલાઇટ બંધ કરી દેવામાં આવી હતી. મેચ બંધ કરી દેવા સાથે મેદાન ખાલી કરી દેવાયું હતું. યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને, શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને મેચ રદ કરવામાં આવી હતી. આ લીગ સ્ટેજની 58મી મેચ હતી.
ગુજરાત ટોચ પર, 3 ટીમો બહાર IPL અધવચ્ચે જ બંધ કરવામાં આવી ત્યાં સુધીમાં, લીગ સ્ટેજની 57 મેચ પૂર્ણ થઈ ગઈ હતી. 58મી મેચ અધવચ્ચે જ રોકાઈ ગઈ. 57 મેચ પછી, ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં સૌથી વધુ 16-16 પોઈન્ટ ધરાવતા હતા. સારા રન રેટને કારણે GT ટોચ પર રહ્યું. પંજાબ ત્રીજા, મુંબઈ ચોથા અને દિલ્હી પાંચમા ક્રમે હતું. જ્યારે ચેન્નાઈ, રાજસ્થાન અને હૈદરાબાદની ટીમો પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી.
જો કે હજુ 12 લીગ મેચ રમાવાની બાકી છે. પહેલાંના કાર્યક્રમ મુજબ 25 મીએ આઈપીએલની ફાઈનલ રમાવાની હતી.