The effect of rain started in Gujarat
- થન્ડર સ્ટોર્મની અસર વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત્ છે.
આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો બદલાવ થશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર જોવા મળશે. જોકે, મંગળવારથી જ તેની અસર જોવા મળી છે. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 10 વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. સદનસીબે તેમાં મોટી જાનહાનિ ટળી હતી. આમ, થન્ડર સ્ટોર્મની અસર વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે, જોકે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત્ છે. તેમજ પ્રથમ વરસાદની વીજળીએ લીંબડી તાલુકાના એક યુવકનો ભોગ લીધો છે. મધરાતે લીંબડી તાલુકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડતા યુવકનું મોત નિપજ્યુ છે.
પાંચ દિવસમાં બદલાશે ગુજરાતનું વાતાવરણ :
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર થશે. જેમાં પવનની ગતિ પણ 30થી 40 KM પ્રતિ કલાકની રહી શકે છે. તો આજે બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાં મોટાપાયે તેની અસર જોવા મળશે. આજથી 10 જૂન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની શક્યા છે. આજથી 10 જૂન સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
મંગળવારે 12 તાલુકામાં વરસાદ ખાબક્યો :
થન્ડર સ્ટોર્મની અસર મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં જોવા મળી હતી. ગઈકાલે ગુજરાતના 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભીંજાયા હતા, જેથી વાતાવરણ ખુશ્નુમા બન્યુ હતું. લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના લાઠીમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અમદાવાદના ધંધુકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઈંચ અને લીંબડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે, આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.