સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠક પર આજે મતદાન યોજાય રહ્યું છે. આકરી ગરમી વચ્ચે 28 લાખથી વધુ મતદારો 483 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. સુરત મનપામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટર અને SMC ચૂંટણીના ઉમેદવાર અમિતસિંહ રાજપૂતને સોશિયલ મીડિયા પર બદનામ કરી તેમની પાસે લાખોની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ ગોડાદરા પોલીસ મથકે નોંધાઈ છે.ફરિયાદ મુજબ, આરોપી અરુણ પાઠક અને તેના સાગરીત મોહન કનોજિયાએ અમિતસિંહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે ફેસબુક પર નીચા સ્તરના શબ્દો અને ફોટા પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટ ડિલીટ કરવાના બદલામાં આરોપીઓએ રૂપિયા 1 લાખની માંગણી કરી હતી.
સુરતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારે ગરમી વચ્ચે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. સવારથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ હોવા છતાં અને તાપમાનનો પારો ઊંચો હોવા છતાં સુરતીલાલાઓએ મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. જોકે, બપોરના સમયે આકરી લૂને કારણે મતદાનની ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ જેમ-જેમ સાંજ નજીક આવતી ગઈ અને મતદાન પૂર્ણ થવાની ગણતરીની મિનિટો બાકી રહી, તેમ મતદારોનો ધસારો વધ્યો છે. જાગૃત નાગરિકો ગરમીને માત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો પર કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો આ સૌથી મોટો પર્વ, સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે.
સુરત શહેરમાં પણ આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા પણ સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ પણ જગ્યા પર લાઈનો પણ એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને પાણીથી લઈને છાસ, લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી હતી જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ પણ પ્રકારની અગવડતા તેને ન પડે. પણ ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનારા લોકોને 100 એ 100 ટકા હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે.