લોકસભા ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણોની નોંધ લીધી છે અને બંને પાર્ટી (ભાજપ-કોંગ્રેસ)ને નોટિસ પાઠવી છે. ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષો પાસેથી જવાબ માંગવામાં આવ્યા છે. ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવી રહેલા નિવેદનોની નોંધ લીધી અને નોટિસ જાહેર કરીને સ્પષ્ટતા માંગી.
ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૭૭ના હેઠળ બન્ને પાર્ટીઓના અધ્યક્ષોને જવાબ આપવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ૨૯ એપ્રિલે સવારે ૧૧ વાગ્યા સુધીમાં નોટિસનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોના વર્તનની જવાબદારી લેવી પડશે.
પીએમ મોદીએ તાજેતરમાં રાજસ્થાનમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે, તો તે લોકોની સંપત્તિ ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચશે. આ દરમિયાન વડાપ્રધાને પૂર્વ પીએમ મનમોહન સિંહના એક જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં મનમોહન સિંહે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતી સમુદાયનો પ્રથમ અધિકાર છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને અપીલ કરી હતી કે પીએમ મોદીનું નિવેદન વિભાજનકારી અને દૂષિત છે અને આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.