લોકસભા ચૂંટણી ૨૦૨૪ કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા ‘વિકસિત ભારત‘ નામના વોટ્સએપ મેસેજ પર ચૂંટણી પંચે કડકાઈ દાખવી છે. આ બાબતે મંત્રાલય પાસેથી તાત્કાલિક અનુપાલન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કમિશનને ઘણી ફરિયાદો મળી હતી કે સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થવા છતાં, નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને નિર્દેશ આપતાં કહ્યું કે, આચારસંહિતા લાગુ થયા પછી પણ જો લોકોને વિકસિત ભારત સંબંધિત સંદેશા મળી રહ્યા છે તો તેને તાત્કાલિક રોકી દેવા જોઈએ. આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચૂંટણી પંચને જાણ કરો.
તમને જણાવી દઈએ કે, ‘વિકસિત ભારત સંકલ્પ‘ નામના વેરિફાઈડ વોટ્સએપ એકાઉન્ટથી મોટી સંખ્યામાં લોકોને પીએ મોદીનો પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, “આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારત સરકારના વિકાસ ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશના ૮૦ કરોડથી વધુ નાગરિકોને ભારત સરકારની યોજનાઓનો સીધો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે.
ચૂંટણી પંચ તરફથી સૂચના મળ્યા પછી MeitYએ પંચને જણાવ્યું કે આ પત્રો આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા મોકલવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી કેટલાક મેસેજો સિસ્ટમ અને નેટવર્કની સમસ્યાને કારણે લોકોને મોડેથી ડિલીવર થયા છે. કમિશને MeitYને આ બાબતે તાત્કાલિક અનુપાલન રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-