શુક્રવારે (1 મે, 2026) મધ્યપ્રદેશના બરગી ડેમ નજીક બનેલી ભયાનક બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 9 પર પહોંચ્યો છે. બચાવકર્તાઓએ જળાશયમાં પલટી ગયેલી ક્રુઝ બોટમાંથી વધુ પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા, જેના કારણે આ દુર્ઘટનાની ગંભીરતા વધી ગઈ છે.
ગુરુવારે નર્મદા નદીમાં ક્રુઝ બોટ પલટી જતાં એક માતા અને તેના ચાર વર્ષના પુત્રનું દુઃખદ મોત થયું હતું. બચાવકર્તાઓને આજે સવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા. કહેવાય છે કે માતાએ પોતાના બાળકને બચાવવા માટે તેને પોતાની છાતી સાથે ચીંટી રાખ્યો હતો, જે આ ઘટનાને વધુ કરુણ બનાવે છે.
મધ્યપ્રદેશના પર્યટન મંત્રી ધર્મેન્દ્ર ભાવ સિંહ લોધીએ જણાવ્યું હતું કે ગુરુવારે ચાર મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે આજે વહેલી સવારે બચાવ કામગીરી દરમિયાન પાંચ વધુ મૃતદેહ મળી આવ્યા, જેના કારણે કુલ મૃત્યુઆંક 9 થયો છે.
મૃતકો દિલ્હીના એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં પિતા અને પુત્રી બચી ગયા છે, જ્યારે પરિવારના અન્ય સભ્યોના મોત થયા છે. જીવતા બચેલા વ્યક્તિએ જણાવ્યું કે અચાનક હવામાન ખરાબ થયું અને જોરદાર તોફાન શરૂ થતાં જ થોડા જ પળોમાં બોટ અસંતુલિત થઈ ગઈ અને પાણી ભરાવા લાગ્યું.
તેમણે આ ભયાનક ક્ષણો યાદ કરતાં કહ્યું કે, “કોઈને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. ચીસો પડી રહી હતી, લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. હું પણ ડૂબી રહ્યો હતો અને એવું લાગતું હતું કે હવે જીવતો નહીં બચું.”