શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ દેશભરમાં ચર્ચામાં આવેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)એ હવે પોતાના આગામી પગલાં જાહેર કર્યા છે. CJPના નેતા અભિજીત દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે હવે આંદોલન માત્ર એક મુદ્દા પૂરતું નહીં રહે, પરંતુ સપ્ટેમ્બર 2026થી શરૂ થનારા ‘ક્યા બોલતી પબ્લિક’ અભિયાન દ્વારા લોકોના પ્રશ્નોને સીધા સાંભળીને વિવિધ જાહેર મુદ્દાઓ પર દેશવ્યાપી જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે.
છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં દીપકેએ જણાવ્યું કે પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને CJP પોતાની જનચળવળની મોટી સફળતા માને છે. તેમણે કહ્યું કે હવે સંગઠન વધુ સક્રિય રીતે લોકોના પ્રશ્નો ઉઠાવશે અને જાહેર હિતના મુદ્દાઓ પર દબાણ ઊભું કરશે. જોકે CJPએ સ્પષ્ટ કર્યું છે કે તે હાલ ચૂંટણી રાજકારણમાં પ્રવેશવાને બદલે જનદબાણ ઉભું કરતી રાષ્ટ્રીય ચળવળ તરીકે કાર્ય કરશે.
CJPના જણાવ્યા મુજબ ‘ક્યા બોલતી પબ્લિક’ અભિયાન હેઠળ દેશના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવશે. શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા, રાજકારણમાં નાણાંના વધતા પ્રભાવ, લોકશાહી સંસ્થાઓની જવાબદારી તેમજ યુવા પેઢી, ખાસ કરીને જનરેશન Zના પ્રશ્નોને અભિયાનના કેન્દ્રમાં રાખવામાં આવશે. જોકે અભિયાનનો વિગતવાર કાર્યક્રમ અને સ્થળોની જાહેરાત હજુ કરવામાં આવી નથી.