દેશમાં લાગુ થયું CAA, ગૃહમંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું

Share this story

આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થોડા જ દિવસોમાં થઈ શકે છે. તેવામાં આજે (સોમવાર) કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવા માટે નોટિફિકેશન જાહેર કરાઈ છે. આમ, આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગૂ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના છ ધર્મના અલ્પસંખ્યકો જેઓ ભારતના શરણાર્થીઓ છે તેઓને ભારતની નાગરિકતા મળશે.

ગૃહમંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી ભાષણોમાં અનેક વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા સીએએ લાગુ કરવાની વાત કહી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભાની ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ગૃહ મંત્રાલય દ્વારા તેને લાગુ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે અને હવે તેનું નોટિફિકેશન બહાર પાડી શકાય છે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019ના નિયમો લાગુ કરવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોમવાર રાતથી સીએએના નિયમો લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું હશે.

ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં ફેરફાર કરતું સંશોધિત બિલ સૌપ્રથમવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બિલ લોકસભામાં પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. 2019ની ચૂંટણીમાં જ્યારે મોદી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

ડિસેમ્બર 2019 માં, સંસદના બંને ગૃહો દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી હતી. આ સમયગાળા દરમિયાન દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. શાહીન બાગ સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ઘણા મહિનાઓ સુધી ચાલ્યા. જો કે, પછી કોરોના રોગચાળાને કારણે બધું ઠંડું પડી ગયું.

નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા મળશે. આ કાયદા હેઠળ તે લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવ્યા છે જેઓ માન્ય મુસાફરી દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વિના ભારતમાં પ્રવેશ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયા છે.

આ પણ વાંચો :-