Friday, Apr 25, 2025

અભિનેતા સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

2 Min Read

બૉલીવુડના અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારવાની ધમકી મળી છે. મુંબઈના વરલી ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી છે .જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. વરલી પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

આ પહેલી વાર નથી જ્યારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા પણ ઘણી વખત અભિનેતાને આવી જ ધમકીઓ મળી ચૂકી છે. બોલિવૂડ અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી પ્રત્યક્ષ અને પરોક્ષ ધમકીઓ મળી છે. વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનની કથિત સંડોવણી બદલ આ ગેંગ સલમાન ખાનને નિશાન બનાવી રહી હોવાનું કહેવાય છે. કારણ કે બિશ્નોઈ સમુદાય માટે કાળિયાર હરણ ધાર્મિક મહત્વ ધરાવે છે.

લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી સલમાન ખાનની પાછળ પડેલો છે. ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી છે. તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ, અભિનેતા ખરાબ રીતે તૂટી ગયો હતો.

મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર થયા બાદથી સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. આ પછી, તેમના નજીકના નેતા બાબા સિદ્દીકીની પણ દશેરા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી, સલમાનની સુરક્ષા અત્યંત કડક કરી દેવામાં આવી છે, તેના ઘરની બાલ્કનીનો કાચ પણ બુલેટપ્રૂફ કરી દેવામાં આવ્યો છે.

Share This Article