દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ મામલો વધુ ઉગ્ર બન્યો છે. હવે દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ₹500 કરોડની માનહાનિની કાનૂની નોટિસ મોકલી છે. બંનેને તેમના નિવેદનો પાછા ખેંચી જાહેર માફી માંગવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, નોટિસમાં સતીશ સાલિયાને આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓના જાહેર નિવેદનોથી તેમની દીકરીના મૃત્યુ અંગે ફરી તપાસની માંગને રાજકીય રંગ આપવામાં આવ્યો અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. નોટિસમાં નિવેદનો પાછા ખેંચવા, લેખિત જાહેર માફી માગવા અને ₹500 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
આ મામલો 16 સપ્ટેમ્બરે આદિત્ય ઠાકરેના નિવેદન બાદ વધુ ચર્ચામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ દિશા સાલિયનને ક્યારેય મળ્યા નથી કે તેમની સાથે કોઈ ઓળખાણ નહોતી. તેમણે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું નામ આ કેસ સાથે જોડવાના પ્રયાસોને રાજકીય અને વ્યક્તિગત કારણોથી કરવામાં આવતી કાર્યવાહી ગણાવી હતી. સાથે જ તેમણે કોઈ રાજકીય હસ્તક્ષેપ વિના નિષ્પક્ષ તપાસની વાત કરી હતી.
અનિલ દેશમુખના અગાઉના નિવેદનનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માર્ચ 2025માં દેશમુખે દિશા સાલિયન કેસને આદિત્ય ઠાકરેને બદનામ કરવાના ષડયંત્ર તરીકે વર્ણવ્યો હતો. હવે સતીશ સાલિયાને આ પ્રકારના નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો છે.
દરમિયાન, 2 સપ્ટેમ્બર 2026ના રોજ બોમ્બે હાઈકોર્ટે દિશા સાલિયનના મૃત્યુની નવેસરથી CBI તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ CBIએ 14 સપ્ટેમ્બરે FIR નોંધાવી હતી. FIRમાં આદિત્ય ઠાકરે સહિત અનેક વ્યક્તિઓના નામ છે, જેમની ભૂમિકાની તપાસ કરવાની વાત છે.
દિશા સાલિયનનું 8 જૂન 2020ના રોજ મુંબઈમાં બિલ્ડિંગ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તેઓ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હટી. અગાઉ પોલીસ તપાસમાં તેમના મૃત્યુને આત્મહત્યા તરીકે નોંધવામાં આવ્યું હતું, જ્યારે હવે CBI સમગ્ર ઘટનાક્રમ અને અગાઉની તપાસમાં ઉઠેલા સવાલોની ફરી તપાસ કરી રહી છે.

