સુરતમાં હીરા માત્ર વેપારની ઓળખ નથી, પરંતુ ક્યારેક આ જ હીરા આસ્થાનું કેન્દ્ર પણ બની જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સુરતના હીરા ઉદ્યોગપતિ કનુ આસોદરિયાએ પ્રકૃતિની અનોખી રચના ગણાતા ‘કરમ ડાયમંડ ગણેશા’ની વિશેષ મહાઆરતી કરી હોવાની માહિતી સામે આવી છે. આસોદરિયાએ PM મોદીના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું છે. તેઓ આ કુદરતી ગણેશ સ્વરૂપ હીરાની તસવીર વડાપ્રધાનને શુભેચ્છા ભેટ તરીકે મોકલવાની તૈયારીમાં છે.
182.53 કેરેટનો છે કુદરતી ગણેશ સ્વરૂપ હીરો
‘કરમ ગણેશા’ સામાન્ય ગણેશ મૂર્તિ નથી. World Book of Recordsની નોંધ મુજબ આ કુદરતી રફ ડાયમંડ છે, જેના આકારમાં ગણેશજીના ચહેરા, કાન, આંખો, સૂંઢ અને પગ જેવી આકૃતિઓ જોવા મળે છે. આ હીરો આશરે 48 મીમી ઊંચો, 32 મીમી પહોળો અને 20 મીમી જાડો છે તથા તેનું વજન 36.50 ગ્રામ એટલે કે 182.53 કેરેટ છે. World Book of Recordsએ તેને ‘Unique Diamond Stone of the World’ તરીકે નોંધ્યો છે.
બેલ્જિયમથી આવેલા રફ ડાયમંડમાં દેખાયું ગણેશ સ્વરૂપ
અહેવાલ મુજબ કનુ આસોદરિયાની ફર્મે આશરે 25 વર્ષ પહેલાં એન્ટવર્પમાંથી રફ ડાયમંડ ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકામાંથી ખનન થયેલા આ હીરામાં કુદરતી રીતે ગણેશજીનું સ્વરૂપ દેખાતું હોવાનું આસોદરિયાએ જણાવ્યું હતું.
એક નહીં, ત્રણ ગણેશ સ્વરૂપના ડાયમંડ
કનુ આસોદરિયા પાસે ગણેશ સ્વરૂપ ધરાવતા અન્ય બે કુદરતી હીરા પણ હોવાનું અગાઉના અહેવાલોમાં સામે આવ્યું છે. 26 કેરેટ અને આશરે 8 કેરેટના અન્ય બે ગણેશ સ્વરૂપના હીરા હોવાની માહિતી પણ છે. ગણેશોત્સવ દરમિયાન આ હીરાઓના દર્શન માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવ છે.
PM મોદીને શુભેચ્છા ભેટ મોકલવાની તૈયારી
કનુ આસોદરિયાના જણાવ્યા મુજબ તેઓ ‘કરમ ગણેશા’ની તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા ભેટ તરીકે મોકલવા માંગે છે. તેમનો ઉદ્દેશ PM મોદીના જન્મદિવસે તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનો છે. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર 2026ના રોજ નરેન્દ્ર મોદી 76 વર્ષના થયા છે.
અને અન્ય મોટી હસ્તીઓને પણ અગાઊ તેમણે તસવીર ભેટ કરી હતી તે પણ તેમણે જણાવ્યું છે.
આ રીતે સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો ‘કરમ ગણેશા’ ફરી એકવાર આસ્થા, કુદરતી હીરાની દુર્લભતા અને શહેરની ડાયમંડ ઓળખને એકસાથે ચર્ચામાં લાવ્યો છે.







