Home Blog

VIDEO:‘બિલ્ડિંગ પડી જશે શું?’ 18 વર્ષીય સનાનો ડરાવનારો મજાક સાચો સાબિત થયો; મિત્રોની હાલત જોઈને કંપી ઊઠી રુહ

0

“બિલ્ડિંગ પડી જશે શું?” મિત્રો સાથે મજાકમાં કહેવાયેલી 18 વર્ષના સના વર્શની આ વાત થોડા જ કલાકોમાં ભયાનક હકીકતમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ નળમાં પાણી ન આવતાં રૂમમાંથી માત્ર 15 મિનિટ પહેલાં બહાર નીકળી જવાનો નિર્ણય સના માટે જીવનદાન બની ગયો હતો. તેની પાછળ જ દિલ્હીના સત્ય નિકેતનની પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ અને અનેક વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતો.

દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક સત્ય નિકેતન વિસ્તારમાં ગઈ કાલે બપોરે આશરે 1:30 વાગ્યે પાંચ માળની જૂની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે PG તરીકે થતો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી છ લોકોનાં મોત થયા છે, જ્યારે બચાવ ટીમોએ અનેક લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશનમાં દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને અન્ય બચાવ એજન્સીઓ જોડાઈ હતી.

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના ફાલાકાટાનો રહેવાસી સના વર્શ મોતીલાલ નેહરુ કોલેજમાં BA પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તે બિલ્ડિંગની ત્રીજા માળે રહેતો હતો. સનાના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે ઊંઘમાંથી જાગ્યા બાદ તેના રૂમના નળમાં પાણી આવતું નહોતું. ફ્રેશ થવા માટે તે નજીક રહેતા મિત્રના રૂમમાં જતો રહ્યો હતો. માત્ર 15 મિનિટ બાદ તેની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી.

સનાએ જણાવ્યું કે બિલ્ડિંગ જૂની હતી અને તેના રૂમ સુધી પહોંચતી સીડીઓ સાંકડી, જર્જરિત અને ભેજવાળી હતી. તે મિત્રો સાથે મજાકમાં કહેતો કે એક દિવસ આ સીડીઓ પરથી પડીને તેનું મોત થશે. પરંતુ તેને ક્યારેય ખ્યાલ નહોતો કે બિલ્ડિંગ ધરાશાયી થવાનો ભય સાચો સાબિત થશે.

સના દર મહિને આશરે ₹14,000 ભાડું ચૂકવતો હતો. અકસ્માતમાં તેનો લેપટોપ, કપડાં અને મહત્વના દસ્તાવેજો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેના બે મિત્રો હજુ AIIMSમાં સારવાર હેઠળ હોવાનું તેણે જણાવ્યું છે.

દરમિયાન, પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલી રહેલા કામ, પાણી ભરાવા અને જૂની સ્ટ્રક્ચરલ સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે. જોકે ધરાશાયી થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ટ્રમ્પના ચિત્રવાળો $1નો સિક્કો કલાકોમાં જ ‘આઉટ ઓફ સ્ટોક’, જાણો કેમ મચી આટલી ધૂમ

અમેરિકામાં એક એવો $1નો સિક્કો સામે આવ્યો જેને લઈને સામાન્ય લોકો કરતાં વધુ ચર્ચા તેની પાછળની રાજકીય અને ઐતિહાસિક બાબતોને લઈને થઈ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચિત્રવાળો આ ખાસ સિક્કો 2 સપ્ટેમ્બર 2026ના રોજ અમેરિકન મિન્ટે વેચાણ માટે મૂક્યો અને થોડા જ કલાકોમાં તેની માંગ એટલી વધી કે વેબસાઇટ પર સિક્કો બેકઓર્ડર/આઉટ-ઓફ-સ્ટોક સ્થિતિમાં પહોંચી ગયો હતો. મિન્ટે વધુ સિક્કા ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ચાલુ રાખી છે.

આ સિક્કો અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી હેઠળ તૈયાર કરાયો છે. સિક્કાની આગળની બાજુએ ટ્રમ્પનું ચિત્ર છે, સાથે “LIBERTY”, “IN GOD WE TRUST” અને “1776 ~ 2026” લખેલું છે. પાછળની બાજુએ અમેરિકાનો પ્રેસિડેન્શિયલ સીલ અને “250” દર્શાવવામાં આવ્યું છે.

U.S. Mintએ 25 સિક્કાના રોલની કિંમત 61 ડોલર અને 100 સિક્કાની બેગની કિંમત 154.50 ડોલર રાખી હતી. એટલે કે સિક્કાની ફેસ વેલ્યુ માત્ર $1 હોવા છતાં સંગ્રાહકો પાસેથી તેના માટે પ્રીમિયમ વસૂલવામાં આવી રહ્યું છે.

સિક્કો દેખાવમાં સોનેરી છે, પરંતુ તેમાં ખરું સોનું નથી. તેમાં 88.5 ટકા તાંબું, 6 ટકા ઝિંક, 3.5 ટકા મેંગેનીઝ અને 2 ટકા નિકલ છે. સિક્કાનું ફેસ વેલ્યુ $1 છે અને તે કાયદેસર ચલણ છે.

જીવંત રાષ્ટ્રપતિનું ચિત્ર અમેરિકન ચલણ પર હોવું અસામાન્ય છે. આ સિક્કો 2026ના વિશેષ સેમીક્વિનસેન્ટેનિયલ કાયદાકીય પ્રાવધાનો હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. U.S. Mint મુજબ આ સિક્કો 2026ના પાનખરમાં ચલણમાં પણ રિલીઝ થવાનો છે.

શ્રાવણનો છેલ્લો સોમવાર કોના માટે ખોલશે ભાગ્યના નવા દરવાજા? જાણો આજનું રાશિફળ

૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
સોમવારના દિવસે ભગવાન ભોળાનાથની કૃપાથી સપ્તાહની શરૂઆત નવી ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે થશે. કાર્યક્ષેત્રે અટકેલી યોજનાઓ ફરી ગતિ પકડશે અને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સાથ મળશે. આર્થિક લાભના નવા માર્ગો ખુલશે અને જૂની ઉઘરાણી પાછી મળવાના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે.


​વૃષભ (Taurus):
નાણાકીય બાબતોમાં આયોજનબદ્ધ નિર્ણયો લેવા અને બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ રહેશે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવવાથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે. પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ પારિવારિક વિષયો પર ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, નિયમિત આહાર જાળવવો.


​મિથુન (Gemini):
તમારી બૌદ્ધિક ક્ષમતા અને કુશળ સંવાદ શૈલીથી મહત્વપૂર્ણ વ્યવસાયિક કામો સફળતાપૂર્વક પાર પડશે. વેપાર-ધંધામાં નવા સંપર્કો લાભદાયી સાબિત થશે અને ભાગીદારીમાં પ્રગતિ જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો ઉત્તમ સમય છે. મિત્રો સાથેની વાતચીત મનને નવી તાજગી આપશે.


​કર્ક (Cancer):
રાશિ સ્વામી ચંદ્રના શુભ પ્રભાવથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં મન વિશેષ લાગશે. નોકરીમાં તમારી મહેનત અને પ્રમાણિકતાની યોગ્ય કદર થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. પૂરતો આરામ લેવો જરૂરી છે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે ધાર્યા લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત થશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં સારો વધારો જોવા મળશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને જૂના રોકાણોમાંથી સારો નફો મળશે. પરિવાર સાથે સુખદ ક્ષણો વિતાવશો.


​કન્યા (Virgo):
સપ્તાહના પ્રથમ દિવસે કામનો ભાર વધુ હોવા છતાં યોગ્ય આયોજનથી તમામ જવાબદારીઓ સમયસર પૂર્ણ થશે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું. પરિવારના સભ્યો તરફથી જરૂરી સહયોગ મળશે. ધ્યાન અને યોગ કરવાથી માનસિક તણાવ દૂર થશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો થવાના અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાના શુભ સંકેતો છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય અને ઉત્સાહવર્ધક રહેશે. મન દિવસભર પ્રફુલ્લિત અને સકારાત્મક વિચારોથી ભરેલું રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે અને વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ મજબૂત બનશે અને નવી યોજનાઓ સફળ થશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સંતોષકારક રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધશે અને મન શાંતિ અનુભવશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો પૂર્ણ થવા લાગશે. નાની અને લાભદાયી યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદ કે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ ભવિષ્યમાં સકારાત્મક આવશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું જરૂરી છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો આર્થિક લાભ થશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ દિવસ છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે. તમારી નવીન વિચારસરણી અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બચતમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.

વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે સુરતમાં અર્ધદિવસીય ફિઝિયોથેરાપી કોન્ફરન્સ યોજાઈ

0

સુરત: વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી નિમિત્તે SAKHI Physio Team દ્વારા મહિલા આરોગ્ય નિષ્ણાત ડૉ. ખુશ્બૂ ઠક્કર તથા ડૉ. તેજવાનીના માર્ગદર્શન હેઠળ અર્ધદિવસીય ફિઝિયોથેરાપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોન્ફરન્સ દરમિયાન સુરતના વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટોએ વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાત સત્રો યોજી પોતાના જ્ઞાન, સંશોધન અને ક્લિનિકલ અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.

ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં ભવિષ્યના સંશોધન, નવીન વિકાસ અને ગુણવત્તાસભર ક્લિનિકલ પ્રેક્ટિસ અંગે વિશેષ પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચા વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. ચંદ્રકાંત મોદીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

કાર્યક્રમમાં 70થી વધુ ડેલિગેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કોન્ફરન્સનો મુખ્ય હેતુ ફિઝિયોથેરાપી ક્ષેત્રમાં જ્ઞાન અને સંશોધનને પ્રોત્સાહન આપવા સાથે આધુનિક અને ગુણવત્તાસભર ક્લિનિકલ પ્રેક્ટિસને વધુ મજબૂત બનાવવાનો હતો.

આ કાર્યક્રમના માધ્યમથી ફિઝિયોથેરાપી ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોને એક મંચ પર લાવી નવીન વિચારો, અનુભવો અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાની મહત્વપૂર્ણ તક મળી હતી.

ફૂડ પોઇસનીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો,FSL તપાસમાં શું મળ્યું?

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષીય આર્યા કલસરિયાના મોતના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે. પરિવારના પાંચ સભ્યોની તબિયત લથડ્યા બાદ ફૂડ પોઈઝનિંગની આશંકા ઊભી થઈ હતી, પરંતુ હવે FSL તપાસમાં બાળકીના વિસેરા તેમજ તપાસ માટે લેવાયેલા ખોરાકના નમૂનાઓમાં કોઈ ઝેરી પદાર્થ મળ્યો ન હોવાનું સામે આવ્યું છે. એટલે કે આર્યાના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

આ ઘટના સુરતના પુણા વિસ્તારમાં બની હતી. 15 ઓગસ્ટની રાત્રે અશોક કલસરિયા અને તેમના પરિવારે માતાવાડી વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવ્યું હતું. રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીર આધારિત વાનગીઓ સહિતનું ભોજન લઈ પરિવાર ઘરે ગયો હતો. ભોજન બાદ પરિવારના પાંચેય સભ્યોની તબિયત બગડી હતી અને ઉલટી, ઉબકા તથા પેટમાં દુખાવાની ફરિયાદો બાદ તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

સારવાર દરમિયાન આર્યાની હાલત ગંભીર બની હતી અને તેનું મોત થયું હતું. ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શીતલ રેસ્ટોરન્ટની તપાસ કરી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી ખામીઓ મળી આવતા રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હતું તથા ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

હવે FSL રિપોર્ટમાં ઝેરી રસાયણ ન મળતાં ફૂડ પોઈઝનિંગને મોતનું કારણ માનવાની શક્યતા પુરવાર થઈ નથી. પોલીસ અને સંબંધિત તંત્ર હવે અન્ય સંભવિત તબીબી કારણોની દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યા છે. આ કેસમાં અંતિમ કારણ સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

સુરતમાં ત્રણ યુવનો માટે જન્માષ્ટમી કાળ મુખી બની!

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાંથી કરંટના ઝટકાની એવી કરુણ ઘટનાઓ સામે આવી છે કે ઉત્સવની ખુશી વચ્ચે અનેક પરિવારોમાં શોક છવાઈ ગયો છે. શહેરમાં અલગ-અલગ ઔદ્યોગિક એકમોમાં કામ દરમિયાન વીજકરંટ લાગવાથી એક જ રાતમાં ત્રણ યુવાન શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સચિન GIDCમાં સિલાઈ મશીન ખસેડતી વખતે બનેલી દુર્ઘટનાનું CCTV પણ સામે આવ્યું છે, જ્યારે પાંડેસરા અને લીંબાયતની મિલોમાં પણ બે યુવાનો વીજકરંટની ચપેટમાં આવ્યા હતા.

સચિન GIDCની કલર્સ ડિજિટલ મિલમાં ધીરજ કુમાર સિલાઈનું કામ કરતો હતો. કામ દરમિયાન સિલાઈ મશીન ખસેડતી વખતે અચાનક તેને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ ધીરજ નીચે ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ઉપલબ્ધ અહેવાલો મુજબ, ધીરજના લગ્નને માત્ર બે મહિના જેટલો સમય થયો હતો, જેના કારણે પરિવારમાં આ દુર્ઘટનાથી ભારે આઘાત ફેલાયો છે.

બીજી ઘટના પાંડેસરાની સહજ મિલમાં બની હતી. અહીં 21 વર્ષીય અનિલ શર્મા કામ દરમિયાન વીજકરંટની ચપેટમાં આવ્યો હતો. અહેવાલ મુજબ, સિલાઈ મશીન પર કામ કરતી વખતે અચાનક વીજપ્રવાહ ચાલુ થતાં તેને ગંભીર કરંટ લાગ્યો હતો. સ્થિતિ ગંભીર બનતા સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ મિલ સંચાલકોની બેદરકારીનો આક્ષેપ કરી યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે.

ત્રીજી ઘટના લીંબાયત વિસ્તારમાં આવેલી મિલમાં બની હતી, જ્યાં 22 વર્ષીય કિશાન મિત્રા કામ દરમિયાન કરંટ લાગતાં મોતને ભેટ્યો હતો. ત્રણેય બનાવોએ સુરતના ટેક્સટાઇલ અને ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા, વાયરિંગ, અર્થિંગ અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અંગે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસ તેમજ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

0

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ હતી. ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારને મળેલા ધમકીભર્યા ઈ-મેલ બાદ અમદાવાદની અનેક કોર્ટમાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને SOGની ટીમોએ કોર્ટ પરિસરોમાં સઘન તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, ઈ-મેલમાં અમદાવાદની એક કોર્ટમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીની જાણ થતાં અમદાવાદ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી અને વિવિધ કોર્ટ પરિસરમાં સુરક્ષા ટીમો મોકલવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે કોર્ટની અંદર તથા આસપાસના વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ધમકીભર્યા ઈ-મેલનો સ્ત્રોત શોધવા માટે તપાસ પણ શરૂ કરી છે.

અહેવાલ મુજબ અમદાવાદમાં ઘીકાંટા મેટ્રો કોર્ટ, લાલ દરવાજા સેશન્સ કોર્ટ અને સોલા સ્થિત ગુજરાત હાઇકોર્ટ સહિતના કોર્ટ પરિસરોમાં સુરક્ષા ચકાસણી હાથ ધરાઈ હતી.

આ તરફ સુરત જિલ્લા કોર્ટને પણ ધમકી મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક પહોંચી હતી. સુરક્ષાના પગલાંરૂપે વકીલો તથા કોર્ટ કર્મચારીઓને પરિસરમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર સંકુલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે ઈ-મેલમાં RDX બોમ્બ મૂક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી હોવાની પુષ્ટિ સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

VIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા ફૂડી

0

ભારતીય ભોજનની વાત આવે ત્યારે મસાલાની સુગંધ અને વિવિધ સ્વાદ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચે છે. હવે બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર પણ ભારતીય ખાવાના સ્વાદથી પ્રભાવિત થયા છે. મુંબઈમાં તેમણે ભારતીય ભોજનની પ્રશંસા કરતાં રમૂજી અંદાજમાં કહ્યું કે અહીં લોકો તમને એટલું સ્વાદિષ્ટ ખવડાવે છે કે જાણે ખવડાવતા-ખવડાવતા જ “મારી નાખવાના હોય”!

બાર્ટ ડી વેવરની આ ટિપ્પણી ભારતીય ભોજનની વૈવિધ્યતા અને મહેમાનગતિને લઈને હતી. તેમણે હળવા-ફૂલકા અંદાજમાં ભારતીયો મહેમાનોને અલગ-અલગ વાનગીઓ પીરસતા રહે છે અને એક પછી એક સ્વાદિષ્ટ ભોજનનો આનંદ કરાવતા રહે છે, એવી વાત કહી. તેમના આ નિવેદન બાદ ભારતીય ભોજન પ્રત્યેનો તેમનો ઉત્સાહ ચર્ચામાં આવ્યો છે.

બેલ્જિયમના વડાપ્રધાનનો આ પ્રવાસ મુખ્યત્વે ભારત-બેલ્જિયમ સંબંધોને મજબૂત કરવા માટે હતો, પરંતુ મુંબઈમાં ભારતીય ખાવાને લઈને કરેલી તેમની રમૂજી ટિપ્પણી પણ ચર્ચાનો વિષય બની હતી. ભારતીય રસોઈમાં વિવિધ મસાલા, પ્રદેશ પ્રમાણે બદલાતી વાનગીઓ અને અલગ સ્વાદ તેની ખાસિયત છે. ઉત્તર ભારતના પનીર, દક્ષિણ ભારતીય દોસા-ઇડલીથી લઈને ગુજરાતના ઢોકળા-ઊંધિયાં સુધી દેશની ખાણીપીણીની દુનિયા ખૂબ વિશાળ છે.

બાર્ટ ડી વેવરની આ વાતને ભારતીય ભોજન અને તેની “ફૂડ હૉસ્પિટાલિટી” માટેની પ્રશંસા તરીકે જોવામાં આવી રહી છે.

ભેંસ બની બર્થડે ગર્લ! કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’ કેપ વીડિયો થયો વાયરલ

કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’… આ કોઈ બાળકની બર્થડે પાર્ટી નથી, પરંતુ ભેંસ ‘બસંતી’ના ચોથા જન્મદિવસની ઉજવણી છે! ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની પાળેલી ભેંસને પરિવારના સભ્યની જેમ માન આપીને તેનો જન્મદિવસ એવી ધામધૂમથી ઉજવ્યો કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

બલિયાના બડગાંવ ગામમાં રાજેશ કુમાર વર્માએ પોતાની પાળેલી ભેંસ ‘બસંતી’નો ચોથો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. મંગળવારે રાત્રે યોજાયેલી આ ઉજવણી માટે ઘર અને આસપાસનો વિસ્તાર રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યો હતો. બસંતીને પણ આ ખાસ પ્રસંગ માટે તૈયાર કરવામાં આવી હતી. તેના ગળામાં ફૂલોની માળા પહેરાવવામાં આવી હતી અને માથા પર ‘હેપ્પી બર્થડે’ લખેલી કેપ મૂકવામાં આવી હતી.

આ પાર્ટીમાં એક નહીં પરંતુ બે કેક રાખવામાં આવી હતી. ગામના લોકોની હાજરીમાં કેક કાપવામાં આવી અને લોકોએ તાળીઓ પાડીને ‘હેપ્પી બર્થડે બસંતી’ કહીને તેને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ રાજેશ વર્માએ બસંતીને કેકના ટુકડા અને કેળા ખવડાવ્યા હતા. ઉજવણીમાં ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રાજેશ કુમાર વર્માનું કહેવું છે કે બસંતી તેમના માટે માત્ર પશુ નથી, પરંતુ પરિવારના એક સભ્ય જેવી છે. તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે તેમણે તેનો જન્મદિવસ પણ પરિવારના સભ્યની જેમ ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું કે બસંતી તેમની વાત સમજે છે અને તેમની સાથે ખાસ લાગણીનું જોડાણ છે.

આ સમગ્ર ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોનું ધ્યાન બસંતી તરફ ખેંચાયું છે. ઘણા લોકો રાજેશના પશુપ્રેમની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે આ અનોખી બર્થડે પાર્ટી લોકોમાં ઉત્સુકતા અને ચર્ચાનું કારણ બની છે.

ઉજ્જૈનથી વિયેતનામ સુધી નિકિતા પોરવાલની સફર, શું ભારતને મળશે 7મો મિસ વર્લ્ડ તાજ?

વિયેતનામમાં આજે 5 સપ્ટેમ્બર, શનિવારે મિસ વર્લ્ડ 2026નો ભવ્ય ફિનાલે યોજાઈ રહી છે અને ભારતની નજર ઉજ્જૈનની નિકિતા પોરવાલ પર ટકેલી છે. 111 દેશોની પ્રતિનિધિઓ વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નિકિતાએ ‘Dances of the World’માં પોતાના અનોખા અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દેવી મીનાક્ષીથી પ્રેરિત તેમના પરંપરાગત લુકમાં ભારતીય સંસ્કૃતિ, રંગો અને કારીગરીની સુંદર ઝલક જોવા મળી હતી.

ઉજ્જૈનથી મિસ વર્લ્ડના મંચ સુધી સફર

નિકિતા પોરવાલ મધ્ય પ્રદેશના ઉજ્જૈનની રહેવાસી છે. તેનું સ્કૂલિંગ Carmel Convent Senior Secondary Schoolમાંથી થયું હતું અને તેણે Maharaja Sayajirao University of Barodaમાંથી અભ્યાસ કર્યો હતો. Miss Worldની સત્તાવાર પ્રોફાઇલ મુજબ નિકિતા ફેશન મોડલ, અભિનેત્રી, નાટ્યલેખિકા અને થિયેટર કંપની Rangraysની ક્રિએટિવ ડિરેક્ટર છે. તેણે 60થી વધુ થિયેટર પ્રોડક્શનમાં અભિનય કર્યો છે.

2024માં જીત્યો હતો મિસ ઇન્ડિયા વર્લ્ડનો તાજ

ઓક્ટોબર 2024માં નિકિતા પોરવાલે Femina Miss India World 2024નો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ તેને મિસ વર્લ્ડના આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળીહતી. તે પહેલાં તેણે Femina Miss India Madhya Pradesh 2024નો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

અભિનય અને લેખનમાં પણ છે નિપુણ

નિકિતાનો પહેલો પ્રેમ થિયેટર છે. તેણે ‘Krishna Leela’ નામનું 250 પાનાનું નાટક લખ્યું છે અને રંગમંચ પર અનેક ભૂમિકાઓ ભજવી હતી. મીડિયા અહેવાલો અનુસાર તે નાની ઉંમરથી જ અભિનય સાથે જોડાઈ હતી અને 18 વર્ષની ઉંમરે ટીવી હોસ્ટ તરીકે પણ કામ શરૂ કર્યું હતું. રામલીલામાં તેણે માતા સીતાની ભૂમિકા પણ ભજવી હતી.

‘Dances of the World’માં દેખાયો ભારતીય રંગ

મિસ વર્લ્ડ 2026ના ‘Dances of the World’ સેગમેન્ટમાં નિકિતાએ ડિઝાઇનર કરણ ટોરાનીના વિશેષ પરિધાનમાં દેવી મીનાક્ષીથી પ્રેરિત લુક રજૂ કર્યો હતો. સોનાના જ્વેલરી, ભરતકામ અને પરંપરાગત ડ્રેપ સાથેનો આ અવતાર ભારતીય કળા અને આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક મંચ પર રજૂ કરતો હતો.

ભારત માટે સાતમા તાજની આશા

ભારત અત્યાર સુધી છ વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂક્યું છે. છેલ્લે 2017માં માનુષી છિલ્લરે ભારતને આ તાજ અપાવ્યો હતો. 2025માં થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગસ્રી મિસ વર્લ્ડ બની હતી. હવે નિકિતા પોરવાલ ભારતને સાતમો મિસ વર્લ્ડ તાજ અપાવીને દેશના બ્યુટી-પેજન્ટ ઇતિહાસમાં નવું અધ્યાય ઉમેરે છે કે નહીં, તેના પર સૌની નજર છે.