સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષીય આર્યા કલસરિયાના મોતના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે. પરિવારના પાંચ સભ્યોની તબિયત લથડ્યા બાદ ફૂડ પોઈઝનિંગની આશંકા ઊભી થઈ હતી, પરંતુ હવે FSL તપાસમાં બાળકીના વિસેરા તેમજ તપાસ માટે લેવાયેલા ખોરાકના નમૂનાઓમાં કોઈ ઝેરી પદાર્થ મળ્યો ન હોવાનું સામે આવ્યું છે. એટલે કે આર્યાના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ ઘટના સુરતના પુણા વિસ્તારમાં બની હતી. 15 ઓગસ્ટની રાત્રે અશોક કલસરિયા અને તેમના પરિવારે માતાવાડી વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવ્યું હતું. રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીર આધારિત વાનગીઓ સહિતનું ભોજન લઈ પરિવાર ઘરે ગયો હતો. ભોજન બાદ પરિવારના પાંચેય સભ્યોની તબિયત બગડી હતી અને ઉલટી, ઉબકા તથા પેટમાં દુખાવાની ફરિયાદો બાદ તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
સારવાર દરમિયાન આર્યાની હાલત ગંભીર બની હતી અને તેનું મોત થયું હતું. ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શીતલ રેસ્ટોરન્ટની તપાસ કરી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી ખામીઓ મળી આવતા રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હતું તથા ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
હવે FSL રિપોર્ટમાં ઝેરી રસાયણ ન મળતાં ફૂડ પોઈઝનિંગને મોતનું કારણ માનવાની શક્યતા પુરવાર થઈ નથી. પોલીસ અને સંબંધિત તંત્ર હવે અન્ય સંભવિત તબીબી કારણોની દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યા છે. આ કેસમાં અંતિમ કારણ સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

