Home Blog

ડોક્ટર બનવા રશિયા ગયો હતો યુવક, યુદ્ધે બદલી નાખી જિંદગી; વાયરલ થઈ અનોખી લવ સ્ટોરી

ઍવેરીથીંગ ઇસ ફેર ઈન લોવ એન્ડ વૉરની વાત શેક્સપિયરના નામથી ખુબ પ્રસિદ્ધ છે પરંતુ એ હક્કીકતમાં દર્શાવ્યું અમનની લોવ સ્ટોરીએ જાણે રશિયા યુક્રેઇનના નકારાત્મક સંગ્રામમાં બન્યો સકારાત્મક કિસ્સો.વિદેશ જતાં એક સામાન્ય ઘરના યુવકના સપનાની વાત કરીએ તોહ હોય છે કેરિયર સેટ કરવું પરંતુ રશિયા યુક્રેનના યુદ્ધએ વસાઈ દીધું અમનનું ઘર.વાયરલ દાવા પ્રમાણે MBBSનો અભ્યાસ કરવા ગયેલા અમનને મુશ્કેલ સમયમાં તેની પ્રોફેસર નતાલિયાએ મદદ કરી હતી અને બંનેની નજીકીઓ બાદ લગ્ન પણ થયા હતા.

વાયરલ પોસ્ટમાં જણાવાયું છે કે અમન સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારથી આવતો હતો અને ડોક્ટર બનવાના સપના સાથે રશિયા ગયો હતો. અભ્યાસ દરમિયાન યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતાં તેની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હોસ્ટેલમાં ફસાઈ જવાથી ખાવા-પીવાની મુશ્કેલી અને પૈસાની તંગી ઊભી થઈ હતી. આ સમયે તેની પ્રોફેસર નતાલિયાએ તેને મદદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ મદદ બાદ બંને વચ્ચે વાતચીત અને નજીકતા વધી અને સંબંધ પ્રેમમાં બદલાયો હતો. પોસ્ટ મુજબ નતાલિયા અગાઉ છૂટાછેડા લઈ ચૂકી હતી. મુશ્કેલ સમય દરમિયાન બંનેએ એકબીજાને સાથ આપ્યો અને અંતે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

આ કહાનીનો સૌથી રસપ્રદ દાવો એ છે કે અમનનું ડોક્ટર બનવાનું સપનું તો પૂરું થયું જ, સાથે જ તેને જીવનસાથી પણ મળી ગયી હતી. વાયરલ પોસ્ટમાં એવો પણ દાવો છે કે બંને સાથે મળીને સારવાર કેન્દ્ર ચલાવે છે.

જોકે, ઉપલબ્ધ વિશ્વસનીય રિપોર્ટ્સમાં અમન અને નતાલિયાની આ ચોક્કસ કહાનીની પુષ્ટિ મળતી નથી. 2022ના રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ ફસાયા હતા અને ખોરાક, પાણી તથા સુરક્ષાને લઈને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો—આ બાબતના અનેક વિશ્વસનીય અહેવાલો ઉપલબ્ધ છે.

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ લવસ્ટોરીને તેથી સત્ય ઘટના તરીકે નહીં, પરંતુ અપુષ્ટ દાવા તરીકે રજૂ કરવી વધુ જવાબદારીભરી બાબત છે.

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું, પરંતુ હોસ્પિટલની નર્સરીમાં લાગેલી આગે અનેક પરિવારોનું આ સપનું ક્ષણોમાં છીનવી લીધું. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે સવારે પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS)ની ગાયનેકોલોજી વોર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સત્તાવાર અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં 14 નવજાત બાળકોનાં મોત થયા હતા, જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ આગ સવારે લગભગ 6:45થી 7 વાગ્યાની વચ્ચે મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલના ત્રીજા માળે આવેલી નર્સરીમાં લાગી હતી. હોસ્પિટલમાં તે સમયે નવજાત બાળકો દાખલ હતા. પ્રાથમિક તપાસમાં આગનું કારણ એસી યુનિટના કૉમ્પ્રેસરમાં વિસ્ફોટ અથવા શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે અંતિમ કારણની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થશે.

ઘટનાની જાણ થતાં જ 6 ફાયર બ્રિગેડ વાહનો અને 4 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારમાં કૂલિંગ કામગીરી હાથ ધરી હતી.

આ કરુણ ઘટનાને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ઇસ્લામાબાદ પ્રશાસને તપાસ માટે બહુ-એજન્સી સમિતિ રચી છે, જે આગનું કારણ, હોસ્પિટલની ફાયર સેફ્ટી વ્યવસ્થા અને બચાવ કામગીરીમાં કોઈ બેદરકારી થઈ કે નહીં તેની તપાસ કરશે.

સ્વાઈન ફ્લૂથી સાવધાન: તાવમાં જાતે આ દવા લેતા પહેલાં આ ચેતવણી જરૂર વાંચો

તાવ આવ્યો એટલે ઘરની દવાની પેટીમાંથી કોઈ પણ ગોળી લઈ લેવાની ટેવ હવે ભારે પડી શકે છે. દિલ્હીમાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને 25 ઓગસ્ટ 2026 સુધી દિલ્હીમાં 2,300થી વધુ H1N1 કેસ નોંધાયા હોવાના અહેવાલો વચ્ચે તબીબો ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય બીમારીઓ ધરાવતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

સ્વાઈન ફ્લૂ વાયરલ ઇન્ફેક્શન હોવાથી તેની સારવાર માટે પોતાની રીતે Azithromycin અથવા Amoxicillin જેવી એન્ટિબાયોટિક શરૂ કરવી યોગ્ય નથી. એન્ટિબાયોટિક વાયરસ સામે કામ કરતી નથી અને બિનજરૂરી ઉપયોગ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સનું જોખમ વધારી શકે છે.

ખાસ ધ્યાનની બાબત Aspirin છે. ઈન્ફ્લુએન્ઝા જેવા વાયરલ ઇન્ફેક્શન દરમિયાન બાળકો અને કિશોરોને Aspirin આપવાથી દુર્લભ પરંતુ ગંભીર Reye’s Syndromeનું જોખમ રહે છે. તેથી તાવ માટે દવા આપતાં પહેલાં ડૉક્ટરની સલાહ મહત્વપૂર્ણ છે.

ભારતના NCDCના માર્ગદર્શન મુજબ H1N1 માટે Oseltamivir મુખ્ય એન્ટિવાયરલ દવા છે અને સારવાર શક્ય તેટલી વહેલી, ખાસ કરીને લક્ષણો શરૂ થયાના 48 કલાકની અંદર શરૂ કરવી વધુ અસરકારક રહે છે. ગંભીર અથવા જોખમી દર્દીઓમાં સારવાર મોડું ન કરવી જોઈએ.

તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, હોઠ-નખ વાદળી પડવા, સતત ઉલ્ટી અથવા ઝડપથી બગડતી તબિયત જોવા મળે તો તરત તબીબી સારવાર લો. પૂરતા પ્રવાહી લો, આરામ કરો અને જાતે એન્ટિબાયોટિક કે એન્ટિવાયરલ શરૂ ન કરો.

માત્ર 10 વર્ષની ઉંમરે અનોખી શોધ, વૈજ્ઞાનિકોએ બાળકના નામે રાખી નવી પ્રજાતિ

આ શું છે ના સવાલ એ 10 વર્ષીય બાળકને આપ્યો અમૂલ્ય વારસો. ઓસ્ટ્રેલિયાના એક દૂરના ટાપુ પર ફરતા 10 વર્ષના બાળકને મળેલો નાનકડો કરોળિયો સામાન્ય લાગ્યો હતો, પરંતુ તેની એક જિજ્ઞાસાએ વૈજ્ઞાનિકોને એવી નવી પ્રજાતિ સુધી પહોંચાડ્યા જેનું અસ્તિત્વ પહેલાં વિજ્ઞાનની નોંધમાં જ નહોતું. સૌથી રસપ્રદ વાત એ છે કે અંતે આ નવી પ્રજાતિનું નામ પણ તે બાળકના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

2020માં મર્ફી વિડોવસન પોતાના માતા-પિતા સાથે તાસ્માનિયાના બાસ સ્ટ્રેઇટ વિસ્તારમાં આવેલા ડીલ આઇલેન્ડ પર જતા એક નાનો કરોળિયો મળ્યો હતો. મર્ફીએ તેને સામાન્ય સમજીને અવગણ્યો નહીં અને તેની ઓળખ જાણવા ક્વીન વિક્ટોરિયા મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરીનો સંપર્ક કર્યો હતો. મ્યુઝિયમના અરેકનૉલોજિસ્ટ જોન ડગ્લસ પણ કરોળિયાને નિશ્ચિત રીતે ઓળખી શક્યા નહોતા. ત્યારબાદ નમૂનો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સ્પાઇડર ટેક્સોનોમિસ્ટ ડૉ. વોલ્કર ફ્રેમેનાઉ પાસે મોકલાયો હતો.

વિસ્તૃત વૈજ્ઞાનિક તપાસ બાદ જાણવા મળ્યું કે આ કરોળિયો Artoriopsis વંશની અગાઉ અજાણી પ્રજાતિ છે. સંશોધકોના જણાવ્યા મુજબ તેની ઓળખ માટે સૂક્ષ્મ શારીરિક લક્ષણો, ખાસ કરીને નર કરોળિયાના જનન અંગોની રચના, મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. 6 જૂન, 2020ના રોજ ડીલ આઇલેન્ડ પરથી મળેલા આ નમૂનાને વૈજ્ઞાનિક રીતે Artoriopsis murphyi નામ આપવામાં આવ્યું હતું. નામકરણ મર્ફીની જિજ્ઞાસા અને શોધમાં તેના યોગદાનને સન્માન આપવા કરવામાં આવ્યું હતું.

2021માં આ શોધને પરિવાર, શિક્ષકો અને મ્યુઝિયમના સ્ટાફ સાથે ખાસ ઉજવણી કરીને પણ સન્માનિત કરવામાં આવી હતી.

આ ઘટના બતાવે છે કે વિજ્ઞાનની મોટી શોધ હંમેશાં અત્યાધુનિક લેબોરેટરીમાંથી જ થાય એવું જરૂરી નથી; ઘણી વખત તેની શરૂઆત માત્ર એક બાળકના સવાલથી થાય છે—“આ શું છે?”

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

0

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી હોય છે, પરંતુ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના લવકુશનગરમાં એક પરિવારમાં સંતાન જન્મતા જ લોકોને આંચકો ખમવો પડ્યો હતો. આશ્ચર્યની સાથે સાથે ડરી પણ જવાય એવા એ બાળકને ચાર હાથ અને ચાર પગ છે ! એ ઓછું હોય એમ એ નવજાતના છાતી – પેટના ઉપરના ભાગે વધારાનું ધડ પણ જોડાયેલું જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, લવકુશનગર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં હરદ્વાર ગામની 29 વર્ષીય નીતા અહિરવારે બાળકને જન્મ આપ્યો હતો. જન્મ સમયે બાળકનું વજન આશરે 3 કિલોગ્રામ હતું. પ્રાથમિક તપાસમાં તેના ચાર હાથ અને ચાર પગ ઉપરાંત શરીરના ઉપરના ભાગ સાથે એક વધારાનો ધડ જોડાયેલો દેખાયો હતો. હાલ માતા અને નવજાતની સ્થિતિ પર તબીબી ટીમ સતત નજર રાખી રહી છે.

ડોક્ટરોના મતે આ સામાન્ય શારીરિક વિસંગતિ નથી, પરંતુ જોડિયા ભ્રૂણના અધૂરા વિકાસ સાથે સંકળાયેલો અત્યંત દુર્લભ કેસ હોઈ શકે છે. તબીબી ભાષામાં તેને હેટેરોપેગસ અથવા પરાસિટિક કન્જોઇન્ડ ટ્વિન સાથે સંબંધિત સ્થિતિ તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં એક ભ્રૂણ પ્રમાણમાં વિકસિત થાય છે, જ્યારે બીજું ભ્રૂણ સંપૂર્ણ રીતે વિકસતું નથી અને તેના શરીરના કેટલાક ભાગો વિકસિત ભ્રૂણ સાથે જોડાયેલા રહી શકે છે.

જોકે, બાળકના શરીરમાં વધારાના અંગો મુખ્ય શરીરની રક્તવાહિનીઓ અથવા આંતરિક અંગો સાથે કેટલા પ્રમાણમાં જોડાયેલા છે, તે અંગે હજુ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. આ માટે વધુ વિગતવાર નિદાન અને વિશેષજ્ઞોની તપાસ જરૂરી રહેશે. આવા કેસમાં સર્જરીનો નિર્ણય સંપૂર્ણ તપાસ બાદ જ લેવામાં આવે છે.

બાળકને વધુ સઘન અને નિષ્ણાત સારવાર મળી રહે તે માટે તેને છતરપુરથી ઉચ્ચ તબીબી કેન્દ્રમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તેને એર એમ્બ્યુલન્સ મારફતે જબલપુર મોકલવાની વ્યવસ્થા અંગે કાર્યવાહી ચાલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

‘મહિલાઓને શું પહેરવું એ કહેવાનું ક્યારે બંધ થશે?’ કૃત્તિ સેનનનો ટ્રોલર્સને જવાબ

રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ હવે બોલિવૂડમાં નવો વળાંક લીધો છે. જ્વેલરી બ્રાન્ડ GIVAની રક્ષાબંધન જાહેરાતમાં અભિનેત્રી કૃત્તિ સેનનના લુકને લઈને સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ તેણે આખરે ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો. કૃત્તિએ સવાલ ઉઠાવ્યો કે મહિલાઓએ શું પહેરવું તે નક્કી કરવાની માનસિકતા ક્યારે બદલાશે?

તાજેતરમાં વાયરલ થયેલી જાહેરાતમાં કૃત્તિ આઇવરી રંગના બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટમાં જોવા મળી હતી. જાહેરાતમાં તે પોતાના ભાઈને રાખડી બાંધતી ઉપરાંત પોતાના પાલતુ કૂતરાને પણ પરિવારનો હિસ્સો માની રાખડી બાંધે છે. આ બંને બાબતોને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક યુઝર્સે પહેરવેશને રક્ષાબંધનના પરંપરાગત માહોલ માટે યોગ્ય ન ગણાવ્યો, જ્યારે કેટલાકે પાલતુ પ્રાણીને ઉજવણીમાં સામેલ કરવાના વિચારને સમર્થન આપ્યું હતું.

વિવાદ ત્યારે વધુ વધ્યો જ્યારે અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સવાલ કર્યો કે ભાઈને રાખડી બાંધતી વખતે કોઈ બિકિની કે અન્ડરગાર્મેન્ટ્સ કેમ પહેરે? તેણે જાહેરાતને ‘ઇન્ટેન્શનલી ક્રીપી’ ગણાવી હતી.

આ ટીકા બાદ કૃત્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે તહેવારનો સાર કપડાંમાં નહીં, પરંતુ લાગણી અને પરંપરા પાછળના અર્થમાં છે. તેણે કહ્યું કે રક્ષાબંધન સુરક્ષા અને પ્રેમના બંધનનું પ્રતિક છે અને પોતાની બહેન સાથે બંને એકબીજાને રાખડી બાંધે છે. તેણે મહિલાઓના પહેરવેશને સંસ્કૃતિ સાથે જોડવાની માનસિકતા પર સવાલ ઉઠાવતા લખ્યું કે સંસ્કૃતિ અને પરંપરા કપડાંમાં નહીં, હૃદયમાં વસે છે.

કૃત્તિની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા તેજ બની છે કે તહેવારોમાં આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. આ મુદ્દે ચર્ચા માત્ર ફેશન પૂરતી સીમિત રહી નથી; મહિલાની પસંદગી, સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને જાહેરાતોમાં તહેવારોના રજૂઆતના સ્વરૂપને લઈને પણ ઓનલાઈન મતભેદો ઊભા થયા છે.

પી.પી. સવાણી રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમી અને પોલીસ તંત્ર એક મંચ પર : બાળકોને મળ્યું સુરક્ષાનું કવચ”

સુરત: બાળકો અને મહિલાઓની સુરક્ષા તથા તેમના અધિકારો અંગે જાગૃતિ વધારવાના હેતુથી પી.પી. સવાણી રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમી ખાતે પ્રિન્સિપાલ ડૉ. રિતેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ સુરત પોલીસના સહયોગથી વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અને 73થી વધુ સ્ટાફ સભ્યોને બાળ સુરક્ષા, પોક્સો એક્ટ તથા ઉપલબ્ધ સરકારી સહાય સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સુરત પોલીસના મહિલા સેલ, ક્રાઇમ બ્રાન્ચ તથા બાળ સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને POCSO Act, Child Safety, Good Touch–Bad Touch, અજાણ્યા કે અયોગ્ય વ્યક્તિઓથી સાવચેતી, પોતાની સુરક્ષા માટે જરૂરી પગલાં તથા મુશ્કેલીના સમયે મદદ મેળવવાની પ્રક્રિયા અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી. બાળકોને કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે શોષણનો સામનો કરવો પડે ત્યારે મૌન ન રહેવા અને વિશ્વાસુ વ્યક્તિ તથા યોગ્ય સરકારી તંત્રનો સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ACP શ્રી મીની જોસેફ, મહિલા સેલ, ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર; PI એન.એલ. દેસાઈ, Investigation Unit for Crime Against Women, Crime Branch; ASI વૈશાલીબેન દેવરે; ASI નિકિતા કિરીટભાઈ, સિંગણપોર પોલીસ સ્ટેશન; મહેશ વી. પરમાર, જેન્ડર સ્પેશિયાલિસ્ટ, DHEW મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી સુરત; મનિષાબેન આહીર, કાઉન્સેલર; ASI ભાવનાબેન ચૌધરી, મહિલા અભયમ 181 તથા કાંતાબેન જોગડિયા, DLSA PLV અને POCSO સપોર્ટ પર્સન, બાળ સુરક્ષા એકમ (DCPU) ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓને પોલીસની હેલ્પલાઇન, બાળ સુરક્ષા સેવાઓ અને ફરિયાદ બાદની ન્યાય પ્રક્રિયા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે શિક્ષકો અને સ્ટાફને અભયમ 181, વિધવા સહાય યોજના, પ્રી-મેરેજ કાઉન્સેલિંગ સહિતની ઉપયોગી સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી શ્રીમતી માનસી સવાણી, શ્રીમતી રિદ્ધિ સવાણી તેમજ દિવ્યા સવાણી અને સમગ્ર શાળા મેનેજમેન્ટે સક્રિય સહયોગ આપ્યો હતો.

પી.પી. સવાણી રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીએ આ કાર્યક્રમ દ્વારા એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે બાળકો અને મહિલાઓની સંપૂર્ણ સુરક્ષા માત્ર એક સંસ્થા કે એક વિભાગની જવાબદારી નથી. પોલીસ તંત્ર અને શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને સતત જાગૃતિ અને સુરક્ષાનું કાર્ય કરે તો જ દેશના બાળકો અને મહિલાઓને વધુ સુરક્ષિત વાતાવરણ આપી શકાય.

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી અસર કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં છૂટક ભાવ ₹60થી ₹70 પ્રતિ કિલો સુધી પહોંચ્યાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે વેપારીઓના મતે આવકમાં અડચણ ચાલુ રહી તો ભાવમાં વધુ ₹15થી ₹20નો વધારો પણ થઈ શકે છે.

સુરત APMCના ઉપલબ્ધ બજાર ડેટા મુજબ 24 ઓગસ્ટે ડુંગળીનો મોડલ જથ્થાબંધ ભાવ ₹3,150 પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. 14 ઓગસ્ટે આ ભાવ ₹1,950 હતો. એટલે કે માત્ર દસ દિવસના ગાળામાં મોડલ ભાવમાં ₹1,200 પ્રતિ ક્વિન્ટલનો વધારો નોંધાયો છે.

ડુંગળીના ભાવ વધવા પાછળ સૌથી મહત્વનું કારણ પુરવઠામાં ઘટાડો માનવામાં આવે છે. મહારાષ્ટ્રના નાસિકના લાસલગાંવ જેવા મોટા બજારોમાં આવક ઘટતાં જથ્થાબંધ ભાવમાં તેજી આવી છે. 25 ઓગસ્ટે લાસલગાંવમાં ભાવ ₹4,250 પ્રતિ ક્વિન્ટલને પાર ગયો હતો. અહેવાલો મુજબ ઓછી આવક અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે પુરવઠો અસરગ્રસ્ત થયો છે.

ભાવવધારાને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાની સાથે ‘કાંદા એક્સપ્રેસ’ મારફતે પણ પુરવઠો વધારવાનો નિર્ણય લીધો છે. આજે રાષ્ટ્રીય સરેરાશ છૂટક ભાવ ₹43.53 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો.

હવે જો નવી આવકમાં સુધારો થશે તો ભાવમાં રાહત મળી શકે છે, પરંતુ પુરવઠો ટૂંકો રહ્યો તો આગામી દિવસોમાં ગ્રાહકો પર મોંઘવારીનો વધુ બોજ આવી શકે છે.

૨૬ ઓગસ્ટનું રાશિફળ: ૧૨ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો ધન, નોકરી અને પરિવાર અંગેનું રાશિફળ

♈ મેષ

આજે તમારી કાર્યક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે. વ્યવસાયમાં નવી યોજનાઓ શરૂ કરવા માટે દિવસ અનુકૂળ છે. પરિવારમાં શાંતિ અને સ્નેહપૂર્ણ વાતાવરણ રહેશે. આર્થિક લાભના નવા માર્ગો ખુલશે, પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું.

♉ વૃષભ

નાણાકીય આયોજન પર ધ્યાન આપવાથી ભવિષ્યમાં સારો લાભ મળશે. કાર્યસ્થળે વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો. પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પૂરતો આરામ લેવો.

♊ મિથુન

બુધની કૃપાથી આજે તમારી વાણી અને બુદ્ધિનો પ્રભાવ વધશે. વેપારમાં નવા સોદા અથવા કરાર થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે સારો દિવસ રહેશે. મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.

♋ કર્ક

માનસિક શાંતિ જાળવી રાખવી અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. નોકરીમાં તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા થશે. પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો સહયોગ મળશે. ખાનપાનમાં સંયમ રાખવો.

♌ સિંહ

આત્મવિશ્વાસ વધશે અને અટકેલા સરકારી અથવા વહીવટી કાર્યોમાં પ્રગતિ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. નેતૃત્વ કરવાની નવી તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં વૃદ્ધિના યોગ છે.

♍ કન્યા

કાર્યક્ષેત્રે સમયનું યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે. આર્થિક લેવડદેવડમાં સાવચેતી રાખવી અને અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. પરિવાર સાથે સાંજનો સમય વિતાવવાથી માનસિક હળવાશ અનુભવાશે.

♎ તુલા

આજનો દિવસ પ્રગતિ અને લાભની દૃષ્ટિએ શુભ રહેશે. વેપાર-ધંધામાં સારો નફો મળવાની શક્યતા છે અને આવકના સ્ત્રોત વધી શકે છે. જૂના રોકાણોમાંથી સારું વળતર મળી શકે છે. પરિવાર સાથે ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.

♏ વૃશ્ચિક

કારકિર્દી અને વ્યવસાયમાં નવી તકો મળશે, જે ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. કાર્યસ્થળે તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓ શાંત રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

♐ ધન

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે રુચિ વધશે. ભાગ્યનો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે. નાની પરંતુ લાભદાયી યાત્રાનો યોગ છે. સંતાનો તરફથી સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

♑ મકર

આજે ધીરજ અને શાંતિથી દરેક પરિસ્થિતિનો સામનો કરવો. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે, પરંતુ તેનું સકારાત્મક પરિણામ મળશે. વાદવિવાદ અને ક્રોધથી દૂર રહેવું. નિયમિત દિનચર્યાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

♒ કુંભ

ભાગીદારીના વ્યવસાયમાં મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ મજબૂત બનશે. તમારી નવીન વિચારસરણી અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન વધશે.

♓ મીન

કાર્યસ્થળે તમારી મહેનત રંગ લાવશે અને ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે. ખર્ચ પર નિયંત્રણ રહેશે અને બચતમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને દિવસભર ઊર્જા જળવાઈ રહેશે.

નોંધ: આ રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે.

30 સપ્ટેમ્બર પહેલાં આ કામ નહીં કરો તો આધાર માટે ચૂકવવા પડશે પૈસા, બાળકોના માતા-પિતા ખાસ ધ્યાન આપે

0

તમારા ઘરમાં 5થી 17 વર્ષનું બાળક છે તો આધાર કાર્ડની આ નાની દેખાતી પ્રક્રિયા ભૂલશો નહીં. 30 સપ્ટેમ્બર 2026 પહેલાં બાળકનું જરૂરી બાયોમેટ્રિક અપડેટ કરાવી લો, કારણ કે હાલ આ સેવા મફતમાં ઉપલબ્ધ છે. ત્યાર બાદ કેટલીક શ્રેણીમાં અપડેટ માટે ₹125 સુધીનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. UIDAIએ માતા-પિતાને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી છે.

UIDAIના નિયમ મુજબ, પાંચ વર્ષથી ઓછી ઉંમરે આધાર બનાવતી વખતે બાળકના ફિંગરપ્રિન્ટ અને આઇરિસ લેવામાં આવતા નથી. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટમાં ફોટો, ફિંગરપ્રિન્ટ અને બંને આઇરિસ નોંધવામાં આવે છે. 15 વર્ષની ઉંમરે ફરી બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું હોય છે.

હાલ UIDAIની વિશેષ છૂટ હેઠળ 5થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી બાયોમેટ્રિક અપડેટ મફત છે. ખાસ કરીને 7થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે આ છૂટ આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બર બાદ સામાન્ય બાયોમેટ્રિક અપડેટ માટે ₹125ની ફી લાગુ થઈ શકે છે.

આધારમાં બાયોમેટ્રિક વિગતો અપડેટ હોવાથી સ્કૂલ-કોલેજ પ્રવેશ, સ્કોલરશિપ, વિવિધ સરકારી યોજનાઓ તેમજ NEET, JEE અને CUET જેવી પરીક્ષાઓમાં આધાર આધારિત ચકાસણી દરમિયાન મુશ્કેલી ઓછી થાય છે. તેથી છેલ્લી તારીખની રાહ જોયા વગર નજીકના આધાર કેન્દ્ર પર જઈને અપડેટ કરાવવું યોગ્ય રહેશે.