સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ હવે વધુ ગંભીર બની છે. પોલીસ તપાસમાં ડીંડોલીના વિનોદ સાવલેની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે. સમગ્ર ઘટનામાં આરોપીએ મોઢે રૂમાલ બાંધીને આગ લગાવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ઓળખ કરવા માટે ઘટનાસ્થળથી આશરે સાત કિલોમીટરના વિસ્તારમાં આવેલા એક હજારથી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. લાંબી તપાસ બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘટના બાદથી વિનોદ સાવલે ફરાર હોવાનું અને તે મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગ લગાવવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ વેપારી સાથેના વિવાદ સહિતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. કોઈ વેપારીએ આરોપીને છૂટો કરાવ્યો હતો કે અન્ય કોઈ વેપારીએ સોપારી આપીને આગ લગાવડાવી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ પોલીસ માહિતી એકત્ર કરી રહી છે.
શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગમાં આશરે 16 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી. ઘટનામાં વેપારીઓને અંદાજિત 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગ એટલી ગંભીર હતી કે ફાયર વિભાગે આશરે 50 કલાકની સતત જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
હવે પોલીસ માટે મુખ્ય પડકાર વિનોદ સાવલેની ધરપકડ કરવાનો છે. તેની ધરપકડ બાદ જ આગ પાછળનું ચોક્કસ કારણ અને અન્ય કોઈની સંડોવણી અંગે વધુ વિગતો સામે આવી શકે છે.







