રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવી ગયો છે. ભાજપના મેન્ડેડ છતાં પાંચ બેઠકોની ચૂંટણીમાં બે બળવાખોરોએ બેઠકો પર વિજય મેળવતાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજ નેતાઓને મોટો રાજકીય ઝટકો ખમવો પડ્યો છે, તો જયેશ રાદડિયા જૂથનો હાથ ઉપર રહ્યો છે.
રાજકોટ-લોધિકા સંઘની કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો અગાઉ જ બિનહરીફ થઈ ગઈ હતી. ત્યારબાદ બાકી રહેલી પાંચ બેઠકો માટે 8 સપ્ટેમ્બરે મતદાન યોજાયું હતું. પાંચ બેઠકો માટે કુલ 21 મતદારોમાંથી 20 મતદારોએ મતદાન કર્યું હતું.
કુવાડવા જૂથ બેઠક પર ભાજપના મેન્ડેટ સામે ઉમેદવારી કરનાર નીતિન ચોવટિયાએ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને હરાવ્યા હતા. જ્યારે માધાપર બેઠક પર વિજય સખિયાએ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને પરાજય આપ્યો હતો. આ બંને પરિણામોને ભાજપ માટે મોટા આંચકારૂપ ગણી શકાય કેમકે ભાજપે તેમના સભ્યોને વ્હિપ આપ્યો હતો. એમ છતાં તેને અવગણીને મતદાન થયું હોય એમ બે બળવાખોરો જીતી ગયા હતા.
ત્રંબા બેઠક પર બંને ઉમેદવારોને સમાન મત મળતાં ટાઈ થયું હતું. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના મેન્ડેટવાળા નીતિન રૈયાણી વિજેતા જાહેર થયા હતા. હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયા અને ખોખડદડ બેઠક પર બાબુ નસીતનો વિજય થયો હતો. પરિણામે પાંચમાંથી ત્રણ બેઠકો રાદડિયા જૂથના ગજવામાં ગઈ હોવાનું જાણવા મળે છે.
આ ચૂંટણીના પરિણામે રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથની પકડ વધુ મજબૂત થઈ હોવાનું પુરવાર કર્યું છે.





