જૈન ધર્મ ની ઓળખ અહિંસાથી થાય છે. “અમારિ” નો ભાવ એટલે મારવું નહીં, કોઈને ભય ન આપવું અને કોઈના અસ્તિત્વને નુકશાન ન પહોંચાડવું. અહિંસાનો વિસ્તાર માત્ર હાથ સુધી મર્યાદિત નથી, તે વિચાર, વાણી અને વ્યવહાર સુધી પહોંચે છે.
કોઈને કડવા શબ્દોથી દુ:ખ આપવું, અપમાન કરવું, ઈર્ષ્યાથી કોઇની નિંદા કરવી કે પોતાના સ્વાર્થ માટે બીજાને નુકશાન પહોંચાડવું… આ બધું પણ હિંસાના સૂક્ષ્મસ્વરૂપો છે. અહિંસા એટલે માત્ર કોઈને મારવું નહિ પણ કોઈના જીવનમાં અનાવશ્યક દુ:ખનું કારણ ન બનવું. જો આપણા સંપર્કમાં આવનાર વ્યક્તિને આપણા કારણે ભય નહિ પરંતુ શાંતિનો અનુભવ થાય તો અહિંસા આપણાં જીવનમાં ઉતરી છે એમ કહી શકાય.
સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારે હિંસાથી બચવાનું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિમાં પણ જીવ છે તેમ માનવામાં આવ્યું છે. નાનો કે મોટો દરેક જીવ જીવવાનું ઈચ્છે છે. મરવું કોઈને ગમતું નથી. આપણે જો કોઈને જીવન ન આપી શકીએ તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને અધિકાર નથી. ઓછામાં ઓછી હિંસાથી કેવી રીતે જીવી શકાય તેવી જીવનશૈલી જૈન પરંપરામાં બતાવવામાં આવી છે. જૈન સાધુઓ આ જીવનશૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જીવો અને જીવવા દો તેટલો જ માત્ર સંદેશ જૈન ધર્મનો નથી પરંતુ આપણા પ્રાણના ભોગે પણ બીજાના જીવની રક્ષા કરવા તત્પર રહો તેવો સંદેશ આપે છે. સ્વયંના જીવનમાં જીવદયાનું આચરણ કરવું અને પોતાની શક્તિ, સત્વ, સુઝ અને સંપત્તિનો ઉચિત ઉપયોગ કરીને જીવદયાનું પાલન કરાવવું તે પર્યુષણનો સંદેશ છે.





