ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની તૈયારી થઈ રહી છે. સરકારના નવા શિક્ષણ સુધારા બિલમાં શાળાની નોંધણીથી લઈને શિક્ષકોની ભરતી અને શાળા બંધ કરવાની પ્રક્રિયા સુધીના નિયમો કડક બનાવવાનો પ્રસ્તાવ છે. ખાસ કરીને મંજૂરી કે જરૂરી નોટિસ વિના શાળા બંધ કરનાર સંચાલકોને ₹20 લાખ સુધીનો દંડ અને જેલની જોગવાઈ પ્રસ્તાવિત થતાં શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાત સરકાર દ્વારા Gujarat Secondary and Higher Secondary Education (Amendment) Bill, 2026 વિધાનસભામાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. બિલનો હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર નિયમન વધુ મજબૂત કરવાનો છે.
પ્રસ્તાવિત જોગવાઈ મુજબ, બોર્ડની મંજૂરી વિના અથવા નિર્ધારિત પ્રક્રિયા અનુસર્યા વગર શાળા બંધ કરનાર સામે ₹20 લાખ સુધીનો દંડ થઈ શકે છે. શાળા બંધ કરતાં પહેલાં બોર્ડને ઓછામાં ઓછા છ મહિના અગાઉ નોટિસ આપવાની રહેશે. હાલની જોગવાઈની સરખામણીમાં દંડમાં મોટો વધારો સૂચવાયો છે.
નોંધણી વિના શાળા ચલાવવી પણ ભારે પડશે. આવી શાળા સામે ₹10 લાખથી ₹15 લાખ સુધીનો દંડ અને 1થી 2 વર્ષની જેલની જોગવાઈ પ્રસ્તાવિત છે. હાલનો દંડ ₹1 લાખથી ₹2 લાખ છે.
નિયમો વિરુદ્ધ આચાર્ય, શિક્ષક અથવા અન્ય સ્ટાફની નિમણૂક કરનાર સંચાલકો માટે દંડ ₹1,000થી વધારી ₹10 લાખ કરવાની દરખાસ્ત છે. શિક્ષક કે હેડમાસ્ટરના સસ્પેન્શન મામલે બોર્ડ દ્વારા અધિકૃત અધિકારીએ 45 દિવસમાં નિર્ણય લેવો પડશે, નહીં તો સસ્પેન્શન આપોઆપ રદ થવાની જોગવાઈ છે.
બિલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક અને સરકારી સહાયિત શાળાઓને કાયદાકીય માળખામાં વધુ સ્પષ્ટ રીતે લાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ તમામ ફેરફારો બિલ પસાર થયા બાદ અમલમાં આવશે.





