જયપુરના બગરુમાં જર્જરિત સરકારી શાળાની હકીકત જાણવા પહોંચેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)ની ટીમ સાથે કથિત મારામારીની ઘટના સામે આવી છે. CJPના કો-કન્વીનર આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો છે કે તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો, તેમની શર્ટ ફાડી નાખવામાં આવી અને વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાને પગલે તેણે શિક્ષણ મંત્રી મદન દિલાવરને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજસ્થાનમાં આંદોલનની ચેતવણી આપી હતી.
રિપોર્ટ મુજબ, રાંકા સહિત CJPના કાર્યકરો જયપુરના બગરુ વિસ્તારના રામપુરા-કનવરપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. CJPનો દાવો છે કે શાળા લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે અને તેના પરિસરનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી.
રાંકાના જણાવ્યા અનુસાર, સ્થળ પર પહેલેથી કેટલાક લોકો હાજર હતા અને તેમની ટીમનો વિરોધ શરૂ થયો હતો. તેમણે આરોપ મૂક્યો કે કાર્યકરો સાથે મારામારી કરવામાં આવી, એક સ્વયંસેવકને ઇજા થઈ અને મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રાંકાએ એવો પણ દાવો કર્યો કે તેમની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા.તેણે કહ્યું કે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિ નિયંત્રિત કરવામાં પૂરતી કાર્યવાહી થઈ નહોતી.
રાંકાએ શિક્ષણ મંત્રી મદન દિલાવરને 48 કલાકમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેનું કહેવું છે કે માંગ નહીં સ્વીકારાય તો CJP રાજસ્થાનભરમાં આંદોલન કરશે અને મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠાવશે.