માત્ર એક ફોનને લઈને શરૂ થયેલો વિવાદ એટલો ભયાનક વળાંક લેશે કે થોડી જ કલાકોમાં આખું પરિવાર ખતમ થઈ જશે, તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 19 વર્ષીય કુણાલ ચાંદગુડેને લઈને બનેલી ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.
છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ નજીક આવેલા ખવડ્યા ડુંગર પર શુક્રવારે આ કરુણ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, કુણાલનો માતા-પિતા સાથે મોબાઇલ ફોનને લઈને વિવાદ થતા તે ડુંગર પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિની જાણ થતાં તેના માતા-પિતા મુરલીધર ચાંદગુડે અને સંગીતા ચાંદગુડે તેને સમજાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો પણ લગભગ ત્રણ કલાક સુધી તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.
આ દરમિયાન પિતા મુરલીધર પુત્રની નજીક પહોંચ્યા અને તેને સુરક્ષિત રીતે પાછળ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અચાનક સંતુલન બગડતાં કુણાલ અને તેના પિતા બંને ઊંડી ખાઈમાં પડી ગયા હતા. બંનેને નીચે પડતા જોઈ સંગીતા પણ થોડા જ સમયમાં નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ 48 વર્ષીય મુરલીધર, સંગીતા અને 19 વર્ષીય કુણાલ તરીકે થઈ છે.
કેટલાક અહેવાલોમાં iPhoneની EMI અને તેને લઈને થયેલા વિવાદનો ઉલ્લેખ છે. તેમજ સંગીતા દ્વારા પુત્રને મનાવવા માટે મંગળસૂત્ર ઉતારી દેવાની વાત પણ સામે આવી છે.