રાહુલ ગાંધીની સાવરકર અંગેની ટિપ્પણીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં જ સમાપ્ત થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ સરકારે જરૂરી મંજૂરી જ આપી ન હોવાના કારણે સર્વોચ્ચ અદાલતે લખનઉની અદાલતમાં ચાલી રહેલી ફોજદારી માનહાનિની કાર્યવાહી અને સમન્સ બંને રદ કરી દીધાં છે. આ ચુકાદાથી કોંગ્રેસ નેતાને મોટી કાનૂની રાહત મળી છે.
આજે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આરોપી સામે કાર્યવાહી કરવા માટે જરૂરી સરકારી મંજૂરી આપી હોવાનું ઉત્તર પ્રદેશ સરકારના એફિડેવિટમાં દર્શાવવામાં આવ્યું નથી. કોર્ટે નોંધ્યું કે મંજૂરી વિના શરૂ થયેલી કાર્યવાહી કાયદેસર રીતે આગળ વધી શકે નહીં અને તેથી ફરિયાદ તથા મેજિસ્ટ્રેટનો આદેશ રદ કરવામાં આવે છે.
આ કેસની શરૂઆત વકીલ નૃપેન્દ્ર પાંડેની ખાનગી ફરિયાદથી થઈ હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે 2022માં મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વી.ડી. સાવરકર અંગે બ્રિટિશ સરકાર સાથે જોડાયેલી ટિપ્પણીઓ કરી હતી. લખનઉની અદાલતે ત્યારબાદ તેમને સમન્સ પાઠવ્યું હતું. રાહુલ ગાંધીએ આ કાર્યવાહી વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ 4 એપ્રિલ 2025ના રોજ રાહત મળી નહોતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
એપ્રિલ 2025માં સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવતી વખતે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ અંગે કડક નારાજગી વ્યક્ત કરી હતી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે જવાબદારીપૂર્વક નિવેદન આપવા ચેતવણી આપી હતી. જોકે હવે જરૂરી મંજૂરીના અભાવે સમગ્ર ફરિયાદ જ રદ થતાં મામલો કાયદાકીય રીતે સમાપ્ત થયો છે.