Saturday, Jul 18, 2026

પ્રવાસ માટે આધારકાર્ડ સિવાયના અન્ય દસ્તાવેજો પણ ચાલશે, કેરળ હાઈકોર્ટની ટિપ્પણી બાદ મહત્વના સવાલો ઊભા

2 Min Read

એરપોર્ટ પર મુસાફરોને ઝડપી અને સરળ પ્રવેશ આપવા માટે શરૂ કરાયેલી ડિજિ યાત્રા (Digi Yatra) સેવા અંગે કેરળ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ડિજિ યાત્રામાં નોંધણી માટે આધાર કાર્ડની આવશ્યકતા સામે પ્રશ્ન ઉઠાવતા કોર્ટે પૂછ્યું કે જો મુસાફર પાસે પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર અથવા અન્ય કોઈ માન્ય સરકારી ઓળખપત્ર ઉપલબ્ધ હોય તો માત્ર આધાર કાર્ડ પર જ ભાર કેમ મૂકવામાં આવે છે? આ મામલો ડેટા ગોપનીયતા અને ઓળખ ચકાસણીની પ્રક્રિયાને લઈને નવી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જણાવ્યું કે ડિજિ યાત્રાનો ઉપયોગ મુસાફરો માટે ફરજિયાત નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ આ સુવિધાનો લાભ લેવા માંગે તો તેને માત્ર આધાર કાર્ડથી જ નોંધણી કરાવવી પડે છે, તે પાછળનું કારણ સ્પષ્ટ હોવું જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું કે ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી, ત્યારે ડિજિ યાત્રા માટે જ તેની અનિવાર્યતા શા માટે રાખવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે.

સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે ડિજિ યાત્રામાં આધારનો ઉપયોગ માત્ર સ્વૈચ્છિક રીતે નોંધણી કરાવતા મુસાફરોની ઓળખ ચકાસવા માટે કરવામાં આવે છે અને આ સેવા સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જોકે, કોર્ટે આ દલીલ બાદ ડિજિ યાત્રા ફાઉન્ડેશનને સીધો જવાબ આપવા કહ્યું છે કે શું આધાર સિવાય અન્ય માન્ય સરકારી ઓળખપત્રના આધારે પણ નોંધણીની સુવિધા આપી શકાય છે.

હાલમાં આ મામલે કોઈ અંતિમ ચુકાદો આવ્યો નથી. કેરળ હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી ડિજિ યાત્રા ફાઉન્ડેશનને આધાર કાર્ડની આવશ્યકતા, અન્ય ઓળખપત્રોના ઉપયોગની શક્યતા અને મુસાફરોના ડેટાની સુરક્ષા અંગે પોતાનો વિગતવાર અભિપ્રાય રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસનો અંતિમ નિર્ણય ભવિષ્યમાં ડિજિ યાત્રાની નોંધણી પ્રક્રિયા અને મુસાફરોના ડિજિટલ ગોપનીયતા અધિકારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Share This Article