અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ વસ્ત્રાલ RAF કેમ્પના જવાનોએ પણ બચાવ કામગીરીમાં જોડાઈ અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





