દિલ્હીના જંતર-મંતર ખાતે સોમવારે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
પ્રદર્શન દરમિયાન કેટલાક સ્થળોએ પરિસ્થિતિ બેકાબૂ બનતાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનામાં અનેક પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની તેમજ કેટલાકના માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. જોકે, દિલ્હી પોલીસે લાઠીચાર્જના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
મળતી માહિતી મુજબ અંદાજે 30થી 35 હજાર પ્રદર્શનકારીઓ જંતર-મંતરથી સંસદ તરફ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા.
પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસે વિવિધ સ્થળોએ વધારાનું બેરિકેડિંગ ગોઠવી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓના દાવાઓ વચ્ચે ઘટનાની વાસ્તવિક સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.