મધ્ય મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં શનિવારે સવારે 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો સલામત સ્થળે પહોંચવા માટે ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના અહેવાલ મળ્યા નથી.
ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હિંગોલી જિલ્લામાં જમીનથી આશરે 5 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી ઊંડાઈએ ભૂકંપ આવવાને કારણે તેના આંચકા વધુ સ્પષ્ટ રીતે અનુભવાયા હતા.
ભૂકંપની અસર માત્ર હિંગોલી પૂરતી મર્યાદિત રહી નહોતી. પરભણી, નાંદેડ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ધ્રુજારી અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકોએ સાવચેતીના ભાગરૂપે થોડો સમય ખુલ્લા મેદાનોમાં પસાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ આ વિસ્તારમાં સતત ચાર વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા, જેના કારણે અનેક મકાનોમાં તિરાડો પડી હતી અને કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. સતત આવી રહેલા આંચકાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વધી રહી છે.
વહીવટી તંત્ર અને સ્થાનિક અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓને કારણે સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.