સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી આફતના આ કપરા કાળમાં સુરત તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળોએ રેસ્ક્યુ કરીને ખસેડાયેલા લોકો માટે હવે માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ મદદે આવ્યું છે.
તંત્રના સહયોગ સાથે ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ સેન્ટરોમાં રહેતા લોકો માટે મોટા પાયે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ માલાભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧ લાખ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્ય અંતર્ગત કુલ ૪ લાખ ફૂડ પેકેટ્સ તૈયાર કરવાનું આયોજન છે, જેમાં પાણીની બોટલ, ફરસાણ, બિસ્કિટ અને ખીચડીના પેકેટ્સનો સમાવેશ થાય છે.

ટ્રસ્ટ દ્વારા આ ફૂડ પેકેટ્સ સુરતના તમામ ઝોનના હોમ સેન્ટર્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, જેથી અસરગ્રસ્તોને સમયસર ભોજન મળી રહે. જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ વર્ષ ૨૦૦૯થી ગુજરાતમાં આવી કપરી પરિસ્થિતિઓમાં સતત માનવસેવાનું કાર્ય કરી રહ્યું છે.