Saturday, Jul 11, 2026

ભારતીય નૌસેનાનું સ્વદેશી INS મહેન્દ્રગિરિ કેમ છે ખાસ ?

2 Min Read

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શનિવારે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌસેનાના પૂર્વી કમાન્ડમાં પ્રોજેક્ટ 17A હેઠળ બનાવાયેલા છઠ્ઠા સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરીને સત્તાવાર રીતે સામેલ કર્યું. વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રક્ષા પ્રધાને તેને દેશ અને ભારતીય નૌસેના માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલું આ આધુનિક યુદ્ધજહાજ આત્મનિર્ભર ભારતના સપના અને દેશના રક્ષા ઉદ્યોગોની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.

INS મહેન્દ્રગિરીની ખાસિયતો

  • આ યુદ્ધજહાજનું ડિઝાઇન ભારતીય નૌસેનાના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
  • તેનું નિર્માણ મુંબઈની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે.
  • જહાજમાં અદ્યતન સ્ટેલ્થ ટેક્નોલોજી, રડારથી બચવાની ક્ષમતા અને ઉચ્ચ સ્તરનું ઓટોમેશન આપવામાં આવ્યું છે.
  • હવાઈ, સમુદ્રી તેમજ પાણીની અંદરના હુમલાઓનો સામનો કરવા માટે તેમાં આધુનિક સ્વદેશી હથિયારો, સેન્સર અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ લગાવવામાં આવી છે.
  • સમુદ્રી સુરક્ષા, શોધ અને બચાવ (Search & Rescue), માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી માટે પણ આ જહાજ સંપૂર્ણ રીતે સક્ષમ છે.
  • હિંદ મહાસાગર સહિત દૂરના દરિયાઈ વિસ્તારોમાં લાંબા સમય સુધી તૈનાત રહેવાની ક્ષમતા ધરાવે છે.
  • પૂર્વી ઘાટની મહેન્દ્રગિરી પર્વતમાળાના નામ પરથી નામકરણ

આ યુદ્ધજહાજનું નામ પૂર્વી ઘાટની મહેન્દ્રગિરી પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાના ઇતિહાસમાં આ નામ ધરાવતું આ પ્રથમ યુદ્ધજહાજ છે. INS મહેન્દ્રગિરીના નિર્માણમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. MSMEs સહિત અનેક ભારતીય કંપનીઓએ તેના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના કારણે દેશના રક્ષા ઉત્પાદન ક્ષેત્રને મજબૂતી મળી છે અને રોજગારીનું પણ સર્જન થયું છે.

આ યુદ્ધજહાજનું સૂત્ર છે – “શક્તિશાળી, ભવ્ય અને અતુલનીય” (Mighty – Majestic – Matchless).

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શું કહ્યું?

રક્ષા પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે સાંજે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા, જ્યાં નૌસેનાના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને તેમનું સ્વાગત કર્યું હતું. રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે INS મહેન્દ્રગિરી ભારતના સમુદ્રી હિતોની સુરક્ષા અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેના દેશના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યુદ્ધજહાજના સામેલ થવાથી ભારતીય નૌસેનાની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે અને ભારત વિશ્વના અગ્રણી યુદ્ધજહાજ નિર્માતા દેશોમાં વધુ મજબૂત સ્થાન બનાવશે.

Share This Article