વેરાવળ: ગુજરાતથી દેવભૂમિ ઉત્તરાખંડની મુસાફરી કરનાર રેલવેના મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. હવે ગુજરાતથી હરિદ્વારની યાત્રા કરવા માટે રેલ સેવાનો લાભ મળી રહેવાનો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વેરાવળથી હરિદ્વાર માટેની સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જુલાઈ 2026માં વેરાવળ અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09203 વેરાવળ-હરિદ્વાર જુલાઈ મહિનાની 7, 14 મ 21 અને 28 તારીખે દર મંગળવારે સાંજે 16:05 કલાકે વેરાવળથી ઉપડશે. તેવી જ રીતે, વળતી મુસાફરી માટે ટ્રેન નંબર 09204 હરિદ્વાર-વેરાવળ જુલાઈ મહિનાની 8, 15, 22 અને 29 તારીખે (દર બુધવારે) રાત્રે 21:30 કલાકે હરિદ્વારથી ઉપડશે.
આ વિશેષ ટ્રેનમાં મુસાફરો માટે સેકન્ડ કમ થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, ગાંધીગ્રામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, અજમેર, રેવાડી, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ અને રૂરકી સહિતના અન્ય મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન નંબર 09203 વેરાવળ-હરિદ્વાર માટેનું એડવાન્સ બુકિંગ આજથી રોજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત હવે અમદાવાદથી દેવભૂમિ ઉત્તરાખંડમાં જનારા મુસાફરોને વધુ એક સેવાનો લાભ મળી રહેશે અને તે પણ હવે આધુનિક અને અપગ્રેડ કરેલા ‘અમૃત ભારત’ ટ્રેન સેવાનો લાભ મળી રહેશે. કારણ કે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ભારે માંગને ધ્યાનમાં રાખીને સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટ્રેન હવે આધુનિક અને અપગ્રેડ કરેલા ‘અમૃત ભારત’ રેક (Amrit Bharat Rake) સાથે દોડશે, જેમાં સ્લીપર ક્લાસ (Sleeper Class) અને જનરલ ક્લાસ (General Class) કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલના ફેરા 27 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જે 6 જુલાઈથી 27 જુલાઈ 2026 દરમિયાન અમૃત ભારત રેક સાથે ચાલશે. જ્યારે પરત ફરતા સમયે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલના ફેરા 28 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જે 7 જુલાઈથી 28 જુલાઈ 2026 સુધી અમૃત ભારત રેક સાથે સેવા આપશે.