વિશ્વભરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન એક પછી એક શક્તિશાળી ભૂકંપોના આંચકાઓ નોંધાતા વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો છે. 24 જૂનથી 28 જૂન દરમિયાન કુલ સાત દેશોમાં આઠ મોટા ભૂકંપ નોંધાયા છે. સૌથી વધુ વિનાશ વેનેઝુએલામાં જોવા મળ્યો છે, જ્યાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 1450 સુધી પહોંચી ગયો છે, જ્યારે 50 હજારથી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.
આ દરમિયાન અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે જાપાનના દરિયાકાંઠે 7.2ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બંને દેશોમાં સાવચેતીના પગલાં તરીકે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ભૂકંપનો સિલસિલો દક્ષિણ એશિયા સુધી પણ પહોંચ્યો હતો. પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં 5.5ની તીવ્રતાના ભૂકંપથી 100થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.
આ ઉપરાંત ફિલિપાઈન્સમાં 6.5ની તીવ્રતાનો અને નેપાળમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સતત અલગ-અલગ દેશોમાં આવેલા આ ભૂકંપોને લઈને વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી છે કે તમામ ઘટનાઓ અલગ-અલગ ટેક્ટોનિક પ્લેટો પર બની હોવાથી તેમનો એકબીજા સાથે સીધો કોઈ સંબંધ નથી.
અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS)ના નિષ્ણાત વિલિયમ બાર્નહાર્ટના જણાવ્યા મુજબ પૃથ્વી પર દરરોજ અનેક ભૂકંપો આવતા રહે છે, પરંતુ સતત કેટલાક દિવસો સુધી વસ્તીવાળા વિસ્તારોમાં મોટા ભૂકંપ અનુભવાવા એ માત્ર એક સંયોગ ગણાવી શકાય. જોકે, સતત વધી રહેલી ભૂકંપીય પ્રવૃત્તિએ વિશ્વભરમાં ચિંતા અને સતર્કતા બંને વધારી છે.