સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિને અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન, પૂજા-પાઠ અને પિતૃઓના તર્પણનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાવસ્યાના દિવસે શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને પરિવાર પર સુખ-સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે. અધિક માસમાં આવતી અમાવસ્યા વિશેષ ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ સંયોગ દર ત્રણ વર્ષે એકવાર જ આવે છે.
અધિક માસની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને ભગવાનની ઉપાસના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. સોમવારે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. વર્ષ 2026માં જ્યેષ્ઠ અધિક માસની અમાવસ્યા 15 જૂનના રોજ આવી રહી છે. આ દિવસ સોમવાર હોવાથી તેને સોમવતી અમાવસ્યા તરીકે ઉજવવામાં આવશે.
આ વર્ષે સોમવતી અમાવસ્યાના દિવસે વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા ત્રણ અત્યંત શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગોમાં કરાયેલ પૂજા, જપ, તપ અને દાનનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. જોકે, આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ.
સોમવતી અમાવસ્યા 2026 : શુભ યોગનો સમય
વૃદ્ધિ યોગ સ્નાન અને દાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે. સ્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ પણ મહત્વપૂર્ણ છે. સોમવતી અમાવસ્યા પર, વૃદ્ધિ યોગ 16 જૂનના રોજ સૂર્યોદયથી રાત્રે 12:35 કલાક સુધી રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5:54 થી સાંજે 7:08 કલાક સુધી રહેશે. અમૃત સિદ્ધિ યોગ સવારે 5:54 થી સાંજે 7:08 કલાક સુધી રહેશે.