Thursday, Jun 11, 2026

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યુ રાજીનામુ

3 Min Read

તૃણમૂલ કોંગ્રેસ (TMC) જ્યારે પહેલેથી જ આંતરિક અસંતોષ અને પક્ષપલટાની ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે સુષ્મિતા દેવનું આ પગલું પક્ષ માટે બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે. જો કે, તેમણે આ રાજીનામું કયા કારણોસર આપ્યું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા દેવ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે ટીએમસીનો એક મજબૂત અને જાણીતો ચહેરો રહ્યા છે.

TMCમાં ભડકો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવી ગયો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે માત્ર એક મહિનાની અંદર જ પક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ હાઈકમાન્ડથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે.

સ્થાનિક સ્તરથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના નેતાઓ એક પછી એક પક્ષને અલવિદા કહી રહ્યા છે, જેના કારણે મમતા બેનર્જી રાજકીય રીતે એકલા પડતા દેખાઈ રહ્યા છે. કાકોલી ઘોષ દસ્તીદાર અને સુખેન્દુ શેખર જેવા મમતાના અતિ નજીકના નેતાઓએ પહેલા જ બળવાખોર વલણ અપનાવ્યું છે, અને હવે સુષ્મિતા દેવે પણ રાજ્યસભાનું સભ્યપદ છોડી દેતા ટીએમસી બેકફૂટ પર આવી ગઈ છે.

સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસની હાલત પત્તાના મહેલ જેવી થઈ ગઈ છે. ધારાસભ્ય દળમાં તિરાડ પડ્યા બાદ હવે સાંસદોમાં પણ મોટું ભંગાણ નક્કી માનવામાં આવી રહ્યું છે. બળવાખોર જૂથનો દાવો છે કે ટીએમસીના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદો ટૂંક સમયમાં જ નવું જૂથ બનાવીને ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધનને સમર્થન આપી શકે છે.

શું બળવાખોર સાંસદો NDAમાં જોડાશે?
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાસે લોકસભાના કુલ ૨૮ સાંસદો છે. બળવાખોર નેતા કાકોલી ઘોષના દાવા અનુસાર, પક્ષના ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં તેમના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ તમામ સાંસદોએ એનડીએ (NDA) સાથે જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જો કે, 20 સાંસદોના દાવા વચ્ચે અત્યાર સુધી 14 સાંસદોના નામ સત્તાવાર રીતે સામે આવ્યા છે જેઓ કાકોલી ઘોષના આ જૂથમાં સક્રિય છે.

અન્ય અગ્રણી સાંસદો
બાપી હલદર, અરૂપ ચક્રવર્તી, જૂન માલિયા, કાલીપદા સરેન, જગદીશ બસુનિયા, અસિત મલ, અબુ તાહિર ખાન, ખલીકુર રહમાન, શર્મિલા સરકાર, પ્રસૂન બેનર્જી અને પાર્થ ભૌમિક. રાજકીય વિશ્લેષકોના મતે, જો આ આખો જૂથ ટીએમસીથી અલગ થશે તો પશ્ચિમ બંગાળ સહિત રાષ્ટ્રીય રાજકારણમાં મમતા બેનર્જીના પક્ષનું વર્ચસ્વ નહિવત થઈ જશે.

Share This Article