ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અન્નામલાઈનું રાજીનામું સત્તાવાર રીતે મંજૂર કર્યું છે.
ભાજપ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, અન્નામલાઈએ પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તાત્કાલિક અસરથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા હસ્તાક્ષરિત આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કે. અન્નામલાઈ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, માનનીય નીતિન નવીને, તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈનું પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે.”

અન્નામલાઈએ 2 જૂનના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તરત જ, તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે એક અલગ, ગુપ્ત બેઠક યોજી. અમિત શાહ અને નીતિન નવીન સહિત અન્ય ટોચના ભાજપના નેતાઓએ હાજરી આપેલી આ બેઠકમાં, અન્નામલાઈએ ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પાર્ટી છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.