Thursday, Jun 4, 2026

મુખ્યમંત્રીના મતવિસ્તારમાં જળકાંડ! દૂષિત પાણી પીવાથી 1000થી વધુ લોકો બીમાર

3 Min Read

થોડા સમય પહેલાં ઈન્દોરમાં થયેલા જળકાંડ જેવી સ્થિતિ ગુજરાતના મુખ્યમંત્રીના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં સર્જાઈ છે. પીવાના દૂષિત પાણીના કારણે ગોતા અને થલતેજ વિસ્તારમાં 500થી 600 જેટલા લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીઓનો ભોગ બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ચારેક દિવસથી સ્થાનિક રહેવાસીઓ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરી રહ્યા હતા. પરંતુ તંત્રએ ફરિયાદને ગંભીરતાથી ન લેતા સ્થિતિ વકરી હતી. બે દિવસથી કેટલાક લોકોને તો 108 એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાનાઓમાં સારવાર માટે મોકલવાની ફરજ પડી છે.

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા નવનિયુક્ત મેયરના વોર્ડ થલતેજ અને ગોતામાં પીવાના દૂષિત પાણીથી રોગચાળો ફેલાયો છે. બહાર આવતી ફરિયાદો અનુસાર ગોતા વોર્ડના આકાંક્ષા ફ્લેટમાં 700થી વધુ લોકો ચારેક દિવસમાં બીમાર પડ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે. જ્યારે વંદે માતરમ્ ફ્લેટના 100થી વધુ લોકો બીમારીમાં સપડાયા છે. જ્યારે આવી રીતે જ થલતેજ વોર્ડના નવરત્ન એવન્યુ એપાર્ટમેન્ટમાં 200 જેટલા અને વિનાયક બંગલોઝમાં 50થી વધુ લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે.

રોગચાળો બેકાબૂ બનતા લોકોનો આક્રોશ સામે આવ્યો હતો. જેના પગલે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ઈજનેર વિભાગની ટીમો પણ આવી પહોંચી હતી. પીવાના દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, સ્થિતિ આ હદે વકરી ત્યાં સુધી નવા ચૂંટાયેલા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો કે મ્યુનિસિપલના અધિકારીઓમાંથી કોઈ સ્થળ પર ડોકાયું નહોતું. જેને લઈને લોકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો હતો.

અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘ગત શુક્રવારથી આ પ્રશ્ન પેદા થયો છે. પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હતી. તેમજ પાણી ડહોળું પણ હતું. પહેલાં તો સોસાયટીઓએ પોતાની ટાંકીઓ સાફ કરાવી, પરંતુ પ્રશ્ન ઉકેલાયો નહીં. માટે મ્યુનિસિપલ તંત્રને જાણ કરી હતી. પરંતુ મ્યુનિસિપલના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. જેના કારણે રોગચાળો બેકાબૂ બન્યો હતો.’

મ્યુનિસિપલના ઈજનેર વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, જનતાનગર ફાટક પાસે પીવાના પાણીની લાઈનમાં લિકેજ થયું હતું. જેનું સમારકામ હાથ ધરાતા નીચે ગટરની લાઈન પણ તૂટેલી જોવા મળી હતી. પરિણામે પહેલાં ડ્રેનેજ લાઈન રીપેર કરાઈ હતી. સમારકામના આ સમયગાળા દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજનું પાણી ભળી ગયું હતું. સમારકામનું આટલું સાદુ ગણિત સમજવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલના ઈજનેરોના કારણે રોગચાળો વકર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલના શાસનમાં ભાજપના શાસકો નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરતા વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે, ‘હજી 30થી 40 લોકો ખાનગી દવાખાનાઓમાં સારવાર હેઠળ છે. બાળકો, બહેનો, વડીલો સહિતના લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે. ભાજપના શાસકો પીવાનું શુદ્ધ પાણી નહીં પૂરું પાડી શકતા લોકોએ પૈસા ખર્ચી પાણીના કેરબા મંગાવવા પડે છે.’

Share This Article