સીબીઆઈએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપના ટોચના અધિકારી અમિતાભ ઝુનઝુનવાલાની SBIના નેતૃત્વ હેઠળના બેંકોના કન્સોર્ટિયમને રૂા.6,000 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી છે. સીબીઆઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તે સમયે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર હતા અને કોર્પોરેટ ફાઇનાન્સ, બેંકિગ અને ફંડ મેનેજમેન્ટ જેવા મુખ્ય કાર્યોનું નિરીક્ષણ કરતા હતા.
અમિતાભ ઝુનઝુનવાલાએ લોન અને એડવાન્સિસ માટે વરિષ્ઠ બેંક અધિકારીઓ સાથે સંકલન કર્યું. તેમના નિર્દેશોના આધારે, બેંકોમાંથી મેળવેલી લોનનું સંચાલન અથવા ઉપયોગ અન્ય ળ ગ્રુપ અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો. એવો આરોપ છે કે લોનના દુરુપયોગને કારણે બેંકોને અનુચિત નુકસાન થયું હતું.
તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે તેણે વિવિધ બેંકો પાસેથી લોન મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કંપની દ્વારા લોન ચૂકવવામાં નિષ્ફળતાને કારણે ખાતાઓ NPA બની ગયા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપ કંપનીઓના પ્રમોટર્સ તરફથી તેમને આમ કરવા માટે સૂચનાઓ મળી રહી હતી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મળેલી ફરિયાદના આધારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને અનિલ ડી. અંબાણી વિરુદ્ધ આ FIR દાખલ કરી છે. તેમના પર બેંકને રૂા. 2,929.05 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં 11 બેંકોના કન્સોર્ટિયમે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડને ટર્મ લોન મંજૂર કરી હતી, જેના પરિણામે કુલ રૂા. 6,015 કરોડનું નુકસાન થયું હતું. ફરિયાદ મુજબ, RCom ની ૧૭જાહેર ક્ષેત્રની બેંકો પ્રત્યે કુલ જવાબદારીઓ રૂા.19,694.33 કરોડ હતી. વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને LIC ની ફરિયાદોના આધારે CBI એ RCom, RHFL, RCFL અને RTL સામે છ અન્ય FIR પણ નોંધી છે. આ કેસોમાં તપાસ ચાલુ છે અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે.
અમિતાભ ઝુનઝુનવાલા દિલ્હીના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ હેઠળના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા અને તેમને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યા હતા. વર્તમાન કેસમાં તેમને કસ્ટડીમાં લેવા માટે મુંબઈના એક ખાસ ન્યાયાધીશ પાસેથી પ્રોડક્શન વોરંટ મેળવવામાં આવ્યું હતું.
જેલ અધિકારીઓએ આરોપીને તબીબી તપાસ માટે AIIMS, નવી દિલ્હી મોકલ્યા. AIIMS મેડિકલ બોર્ડ દ્વારા તપાસ કર્યા પછી, ઝુનઝુનવાલાને મુસાફરી માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ, તેમને મુંબઈ લાવવામાં આવ્યા અને 1 જૂને મુંબઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
નિવેદનમાં જણાવાયું હતું કે તેમની હાજરી પછી, CBI એ ઔપચારિક રીતે તેમની ધરપકડ કરી હતી, જે કોર્ટ દ્વારા નોંધવામાં આવી હતી. ત્યારબાદ, સીબીઆઈના આરકોમ કેસમાં આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો અને આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો. તેની પોલીસ કસ્ટડી અરજી પર આવતીકાલે સુનાવણી થશે. સીબીઆઈએ ૨૯ મે, 2026 ના રોજ આરકોમ કેસમાં કંપની, પાંચ વરિષ્ઠ આરકોમ અધિકારીઓ અને 10 બેંક અધિકારીઓ સહિત 16 આરોપીઓ સામે તેની પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી.