અમેરિકામાં ગુજરાતી મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. ઘણા લોકો ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા બાદ ત્યાં રહેવા માટે અવનવાં ગતકડાં કરતા હોય છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલાં અમેરિકાથી પ્રકાશમાં આવ્યો હતો. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવાના એક ગંભીર ષડયંત્રમાં બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ 10 પાટીદારો સામે વિધિવત્ રીતે ગુનો નોંધ્યો હતો.
અમેરિકામાંથી દેશનિકાલ થતા બચાવવા માટે ત્યાંના ‘U-વિઝા વિક્ટિમ-પ્રોટેક્શન પ્રોગ્રામ’નો દુરુપયોગ કરનાર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચંદ્રકાંત ઉર્ફે ‘લાલા’ પટેલ હવે ખુદ દેશનિકાલનો સામનો કરી રહ્યો છે. ચંદ્રકાંત પટેલે કોર્ટમાં કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના ગુનાની કબૂલાત કરી હતી. પ્લી એગ્રીમેન્ટ (ગુનાની કબૂલાતના કરાર) અંતર્ગત પટેલ પોતાના બહુવિધ બેંક ખાતાઓ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, વાહનો, મોંઘી જ્વેલરી, કિંમતી ધાતુઓ અને લુઇસિયાનાના ઓકડેલમાં આવેલી પાંચ પ્રોપર્ટીઝ જપ્ત કરવા માટે સહમત થયો હતો.
15 વર્ષની જેલ અને કરોડો રૂપિયાના દંડની શક્યતા
કોર્ટ દસ્તાવેજો અનુસાર, પટેલને કાવતરાના ગુનામાં 5 વર્ષ અને મની લોન્ડરિંગના ગુનામાં 10 વર્ષ સહિત કુલ 15 વર્ષની જેલ થઈ શકે છે. ઉપરાંત તેને 5 લાખ ડોલર (આશરે ₹4.15 કરોડ) સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. અંતિમ સજા ફેડરલ કોર્ટ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ નક્કી કરવામાં આવશે.
ભારતીય ઇમિગ્રન્ટ્સ પાસેથી ઉઘરાવતો હતો હજારો ડોલર
પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ, ગુજરાતના કલોલમાં જન્મેલા ચંદ્રકાંત પટેલે અનેક ભારતીય ઇમિગ્રન્ટ્સ પાસેથી હજારો ડોલર વસૂલ્યા હતા. તે અરજદારોને સશસ્ત્ર લૂંટફાટ અથવા અન્ય ગંભીર ગુનાઓના પીડિત તરીકે ખોટી રીતે રજૂ કરતો હતો અને તેના આધારે U-વિઝા મેળવવાની પ્રક્રિયા ગોઠવતો હતો.
U-વિઝા મેળવવા માટે બનાવતા હતા નકલી કેસ
તપાસમાં ખુલ્યું છે કે અરજદારો માટે નકલી ગુનાના કેસો ઉભા કરવામાં આવતા હતા અને ત્યારબાદ તે બનાવટી ઘટનાના આધારે U-વિઝા માટે અરજી કરવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડથી પટેલ અને તેના સાથીદારોને કરોડો રૂપિયાની ગેરકાયદે કમાણી થઈ હોવાનું સામે આવ્યું છે.
2025માં સામે આવ્યો હતો કૌભાંડ
આ મામલો પ્રથમ વખત 2025માં પ્રકાશમાં આવ્યો હતો. તપાસ દરમિયાન લુઇસિયાનાના ત્રણ વર્તમાન અથવા ભૂતપૂર્વ પોલીસ ચીફ અને ઓકડેલના એક માર્શલનું નામ પણ સામે આવ્યું હતું. આરોપ છે કે પટેલે નકલી પોલીસ રિપોર્ટ તૈયાર કરાવવા અને U-વિઝા સંબંધિત દસ્તાવેજોને પ્રમાણિત કરાવવા માટે અધિકારીઓને પ્રતિ કેસ આશરે 5,000 ડોલરની લાંચ આપી હતી.
શું છે U-વિઝા પ્રોગ્રામ?
U-વિઝા અમેરિકી કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ માનવતાવાદી ઇમિગ્રેશન કાર્યક્રમ છે. તેનો હેતુ ગંભીર ગુનાઓના ભોગ બનેલા લોકોને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સહકાર આપવા પ્રોત્સાહિત કરવાનો છે. આ વિઝા હેઠળ પાત્ર વ્યક્તિઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી, દેશનિકાલથી રક્ષણ અને ભવિષ્યમાં ગ્રીન કાર્ડ મેળવવાની તક મળે છે.
તપાસમાં મોટી સફળતા
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રકાંત પટેલની ગુનાની કબૂલાત દાયકાથી વધુ સમયથી ચાલતી તપાસમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. હવે કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે.