Thursday, May 21, 2026

‘કૉકરોચ જનતા પાર્ટી’ સોશિયલ મીડિયા પર સુપરહિટ, કલાકોમાં જ લાખો યુવાનો જોડાયા

4 Min Read

આજના સમયમાં સોશિયલ મીડિયાની શક્તિ કેટલી પ્રભાવશાળી બની ગઈ છે તેનું અનોખું ઉદાહરણ ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP) બની છે. સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે દેશના કેટલાક બેરોજગાર યુવાનોને લઈને ‘કૉકરોચ’ જેવી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ એક યુવકે તેને સોશિયલ મીડિયા પર મુદ્દો બનાવી ઈન્સ્ટાગ્રામ પર @cockroachjantaparty નામથી હેન્ડલ શરૂ કર્યું, જેને થોડા જ સમયમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.

આ હેન્ડલના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી ગઈ અને તેણે ફોલોઅર્સના મામલે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપને પણ પાછળ છોડી દીધી. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર કૉકરોચ જનતા પાર્ટીના 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ભાજપના 8.7 મિલિયન, કોંગ્રેસના 13.3 મિલિયન અને આમ આદમી પાર્ટીના 1.3 મિલિયન ફોલોઅર્સ છે.

કોણ છે કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપક?
કૉકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરનાર યુવકનું નામ અભિજીત દીપકે છે. માત્ર 30 વર્ષીય અભિજીત દીપકે પાર્ટી માટે વેબસાઇટ પણ શરૂ કરી છે, જ્યાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. પાર્ટીએ પોતાની વેબસાઇટ પર એક એન્થમ સોંગ પણ મૂક્યું છે. જોકે, પાર્ટીના સત્તાવાર રજીસ્ટ્રેશન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

અહેવાલો મુજબ અભિજીત દીપકે પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ્ટ તરીકે કાર્ય કરે છે. તેઓ નેરેટિવ બિલ્ડિંગ, પબ્લિક મેસેજિંગ અને ડિજિટલ મીડિયા પર રાજકીય વિચારોની અસરનું વિશ્લેષણ કરવામાં નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે પુણેથી જર્નાલિઝમમાં અભ્યાસ કર્યો છે અને હાલમાં બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરી રહ્યા છે.

AAP સાથે પણ જોડાયેલા રહ્યા હતા અભિજીત દીપકે
માહિતી અનુસાર, અભિજીત દીપકે 2020 થી 2023 દરમિયાન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા અને ચૂંટણી અભિયાનો સાથે પણ કામ કર્યું હતું. વર્ષ 2020માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીત દરમિયાન તેમણે મીમ આધારિત ડિજિટલ અભિયાન ચલાવ્યું હતું, જેના કારણે યુવાનોમાં પાર્ટીની લોકપ્રિયતા વધારવામાં મદદ મળી હતી.

કેમ શરૂ થઈ કૉકરોચ જનતા પાર્ટી?
15 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે કેટલાક બેરોજગાર યુવાનો અંગે ‘કૉકરોચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ ટિપ્પણી બાદ અભિજીત દીપકેએ તેને એક સોશિયલ મૂવમેન્ટમાં ફેરવવાનો પ્રયાસ કર્યો અને ‘કૉકરોચ જનતા પાર્ટી’ની શરૂઆત કરી. પાર્ટીની વેબસાઇટ પર તેને બેરોજગાર અને અવગણાયેલા યુવાનોનો અવાજ ગણાવવામાં આવ્યો છે.

કૉકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો પણ ચર્ચામાં
પાર્ટીના મેનિફેસ્ટોમાં અનેક ચોંકાવનારા વચનો આપવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો કોઈપણ ચીફ જસ્ટિસને નિવૃત્તિ બાદ રાજ્યસભામાં મોકલવામાં નહીં આવે.

તે ઉપરાંત જો મતદાર યાદીમાંથી કોઈ સાચા મતદારનું નામ કાપવામાં આવશે તો ચૂંટણી પંચ સામે કાર્યવાહી કરવાની અને UAPA હેઠળ ધરપકડ કરવાની વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે.

પાર્ટીએ મહિલાઓને 50 ટકા અનામત આપવાનો પણ વાયદો કર્યો છે. સાથે જ બિઝનેસમેન સાથે જોડાયેલા મીડિયા હાઉસના લાયસન્સ રદ કરવાની અને પક્ષપલટો કરનારા ધારાસભ્ય અથવા સાંસદોને 20 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

પાર્ટીમાં જોડાવાની યોગ્યતા

  • બેરોજગારી
  • આલસી (લેઝી) હોવું ડલે રહેવું, પડે રહેવું
  • ઓનલાઈન રહેવાની લત
  • પ્રોફેશનલી ભડાસ નીકાળવાની ક્ષમતા

મેનિફેસ્ટોમાં 5 મુખ્ય વાદા

  • CJI સહિત કોઈપણ ન્યાયાધીશને રિટાયરમેન્ટ પછી રાજ્યસભા જેવું કોઈ ‘રિવાર્ડ’ નહીં મળે.
  • વોટ ડિલીટ થશે તો મુખ્ય ચૂંટણી કમિશનરને UAPA હેઠળ ગિરફ્તાર કરવામાં આવશે (વોટિંગ અધિકાર છીનવવું આતંકવાદ જેવું છે).
  • મહિલાઓ માટે 50% અનામત (33%ની જગ્યાએ), સંસદની સીટ વધાર્યા વિના અને કેબિનેટમાં પણ 50% અનામત.
  • અંબાણી અને અડાણીના તમામ મીડિયા સંસ્થાના લાઇસન્સ રદ્દ કરી ‘ગોદી મીડિયા’ પર અંકુશ.
  • દલબદલ કરનારા વિધાયક અથવા સાંસદને 20 વર્ષ સુધી કોઈ પદ નહીં મળે.
Share This Article