Thursday, May 14, 2026

ચોટીલા નજીક ભીષણ અકસ્માત: ખાનગી બસમાં આગ લાગતાં 4નાં મોત, 10 મુસાફરો ઘાયલ

1 Min Read

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક ચોટીલા–રાજકોટ નેશનલ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અથડામણ થતાં બસમાં આગ ફાટી નીકળી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ બસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે આશરે 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article