સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું મોટું નેટવર્ક ફરી સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ના નામે ગેરકાયદેસર ગર્ભપાત અને પરીક્ષણનો ગોરખધંધો ચલાવી રહ્યો હતો.
આરોગ્ય વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો
ચોક્કસ બાતમીના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે વરાછા પોલીસ સાથે મળી હોસ્પિટલ પર ઓચિંતો દરોડો પાડ્યો. રેડ દરમિયાન ત્રણ સગર્ભા મહિલાઓ ગર્ભપાત માટે હાજર મળી આવતા સમગ્ર મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો.

ક્વોલિફાઇડ ડોક્ટર નહીં છતાં ઓપરેશન કરતો હતો
ચોંકાવનારી બાબત એ છે કે રામગોપાલ ખંડેલવાલ કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી, છતાં તે પોતે જ મહિલાઓના ગર્ભપાતના ઓપરેશન કરતો હતો. આરોગ્ય વિભાગે પ્લાનિંગ કરીને રેડ કરતા તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ભાંડો ફૂટ્યો.
કર્મચારીની કબૂલાતથી ખુલ્યો ભાંડો
હોસ્પિટલમાં કામ કરતી મહિલા કર્મચારીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે રામગોપાલ પોતે જ ગર્ભપાતની પ્રક્રિયા કરતો હતો. આ નિવેદન બાદ સમગ્ર રેકેટ સ્પષ્ટ બની ગયો અને પોલીસે કાર્યવાહી ઝડપી બનાવી.
ત્રણ ગર્ભવતી મહિલાઓ મળી, એક ભાગી છૂટી
દરોડા દરમિયાન મળી આવેલી ત્રણ મહિલાઓમાં એક વ્યારાની અને બીજી શિરપુરની હોવાનું સામે આવ્યું. તમામ મહિલાઓ ગેરકાયદેસર ગર્ભપાત માટે આવી હોવાનો સ્વીકાર કર્યો. તબીબી ચકાસણી માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી દરમિયાન એક 24 વર્ષીય મહિલા ભાગી છૂટી, જ્યારે બેને દાખલ કરવામાં આવી.
અગાઉ પણ ચાલતો હતો ગોરખધંધો
રામગોપાલ અગાઉ ‘શિવાય હોસ્પિટલ’ના નામે પણ આવો જ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. વર્ષ 2025માં આરોગ્ય વિભાગે રેડ કરીને તેને અને તેના સાથીઓને ઝડપ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી નવી હોસ્પિટલના નામે એ જ ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરી.
પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ
ડો. અનિલ પટેલની ફરિયાદના આધારે વરાછા પોલીસે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે અને ફરાર રામગોપાલને ઝડપી લેવા પોલીસની ટીમો કામગીરીમાં લાગી છે. સાથે જ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકાની પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.