Sunday, Apr 19, 2026

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર પરપ્રાંતીયોની બેકાબૂ ભીડ, પોલીસનો લાઠીચાર્જ

2 Min Read

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉદ્યોગોમાં ગેસની અછત, કારખાનાઓમાં રજાઓ અને શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થતા મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે મુસાફરો સ્ટેશન પર ઉમટી પડ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટેશન પર અંદાજે 7,000થી વધુ મુસાફરો ભેગા થઈ ગયા હતા, જ્યારે તેમની માટે માત્ર બે ટ્રેનો જ ઉપલબ્ધ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સ્ટેશનની બહાર લગભગ ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ. આ દરમિયાન કેટલાક લોકોએ લાઈન તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી. અંતે પોલીસ અને RPFના જવાનોએ ભીડને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો.

માહિતી મુજબ, ભારે ગરમીનો પણ મુસાફરો પર ખરાબ પ્રભાવ પડ્યો. લાઈનમાં ઉભેલા ઓછામાં ઓછા બે લોકો બેહોશ થઈ ગયા. વધતા તણાવ વચ્ચે રેલવે પોલીસ અને સુરક્ષાકર્મીઓ માટે વધતી ભીડને સંભાળવી મુશ્કેલ બની ગઈ. પીવાના પાણીની ભારે અછત વચ્ચે જ્યારે પાણીની બોટલો વહેંચવામાં આવી ત્યારે પરેશાન મુસાફરો તેને મેળવવા માટે એકબીજા સાથે ખેંચતાણ કરતા જોવા મળ્યા, જેના કારણે ત્યાં વધુ અફરાતફરી મચી ગઈ.

સ્ટેશન પર પીવાના પાણીની પણ ગંભીર અછત જોવા મળી છે. જ્યારે તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું ત્યારે તરસ્યા લોકો બોટલ મેળવવા માટે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન અનેક હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતો રહ્યો હતો, જે દૃશ્યે ત્યાં હાજર લોકોને ભાવુક બનાવી દીધા હતા. આવી પરિસ્થિતિએ મુસાફરોની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે.

Share This Article