આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કેન્દ્રના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરાયો છે. જાન્યુ-જૂન-2026ના છ માસના ગાળા માટે હવે 60% મોંઘવારી ભથ્થુ મળશે.
એક તરફ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી છે જેનો અમલ 1 જાન્યુ. 2026થી જ થનાર છે પણ પંચનો અહેવાલ આવે અને તેના પર આખરી નિર્ણય લેવાય ત્યાં સુધી સાતમા પગારપંચની જે જોગવાઈઓ છે તે લાગુ રહેશે. જે મુજબ વર્ષમાં બે વખત કેન્દ્રના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થામાં ફેરફાર થાય છે.
જે હવે બેઝીક પગારના 58% મળતુ હતું તે વધીને 60% થઈ જશે. આગામી માસના પગારમાં તેની અસર અપાશે અને ત્રણ માસનું એરિયર્સ પણ ચુકવાય તેવી ધારણા છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટે રૂા.13000 કરોડના મેરીટાઈમ સોવેર્જીયન ફંડને પણ મંજુરી આપી છે.
જેનો ઉપયોગ યુદ્ધ સહિતની કટોકટીના સમયમાં ભારતીય વ્યાપારી જહાજોને વધતા વિમા પ્રિમીયમમાં રાહત કરવામાં ખર્ચ કરાશે. જયારે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં રૂા.3000 કરોડનું વધારાનું ભંડોળ આપવામાં આવ્યું છે.