ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાંણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ પર આપેલા નિવેદન પર હાલ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બે દિવસ પહેલા શરૂ થયેલા આ વિવાદે હાલ વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કોંગ્રેસના ખડગેના ગુજરાતીઓ પર બફાટને લઈને ગુજરાત ભાજપે હાલ ભારે વિરોધ નોંધાવ્યો છે. ભાજપે સુરત, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિવિધ શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શન યોજી ભારે રોષ સાથે કોંગ્રેસ પાસે આ મામલે માગ કરી છે.
વિગતે વાત કરીએ તો, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન એક નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા કહ્યું કે, ત્યાંના લોકોને નરેન્દ્ર મોદી સરળતાથી ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળના લોકો વધુ સમજુ અને શિક્ષિત છે, એટલે કોઈ તેને ભ્રમિત કરી શકશે નહીં.’ ત્યારે આ નિવેદનને લઈને ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સાથે જ ચૂંટણીના માહોલ વચ્ચે વિવિધ રાજકીય પાર્ટીઓ પણ આ મામલાને લઈને રાજકીય લાભ ઉઠાવી રહી છે.
ખડગેના આ વિવાદિત નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે સુરતમાં સુરત બીજેપીના કાર્યકરોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે, સુરતના અડાજન વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ મોં પર કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ નોંધાવ્યો છે. ‘ગુજરાતના અપમાન બદલ માફી માગે કોંગ્રેસના બેનર’ સાથે ભાજપ આ મામલે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.
આ તરફ અમદાવાદમાં પણ ભાજપે મૌન ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે મૌન વિરોધમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ જોડાયા છે. સાથે જ થોડી વારમાં ગાંધીનગરમાં પણ ભાજપ વિરોધ પ્રદર્શન કરશે તેવી અહેવાલો હાલ સામે આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠન પણ ધરણાં પ્રદર્શન કરશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી વચ્ચે આગામી સમયમાં આ મુદ્દો ક્યાં જઈને અટકે એ જોવું રહ્યું!