ટેલિકોમ વિભાગે સોશિયલ મીડિયા યુઝર્સને મોટી રાહત આપતા ‘સિમ બાઈન્ડિંગ’ ગાઈડલાઈન્સના અમલીકરણને 31 ડિસેમ્બર 2026 સુધી ટાળી દીધું છે. આનો અર્થ એ છે કે હવે તમારું WhatsApp અને Telegram મેસેન્જર સિમ કાર્ડ વગર પણ કામ કરતું રહેશે અને વેબ વર્ઝન પર વારંવાર ઓટોમેટિક લોગ-આઉટ થવાની સમસ્યા નહીં રહે.
અગાઉ આ નિયમ 30 માર્ચથી લાગુ થવાનો હતો, જે મુજબ જો મોબાઈલમાં એક્ટિવ સિમ કાર્ડ ન હોય તો મેસેજિંગ એપ કામ કરવાનું બંધ કરી દેત. એપલે આ ગાઈડલાઈન સામે ટેકનિકલ કારણોસર વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે સરકારે કંપનીઓને આ નિયમનું પાલન કરવા માટે વર્ષના અંત સુધીનો સમય આપ્યો છે. સિમ બાઈન્ડિંગનો મુખ્ય હેતુ સાયબર છેતરપિંડી રોકવાનો હતો, કારણ કે ઘણા ગુનેગારો સિમ વગરની એપનો ઉપયોગ કરીને ફ્રોડ કરતા હોય છે.
ટેલિકોમ વિભાગના નવા નિર્દેશો મુજબ, ડિજિટલ સિક્યોરિટી વધારવા માટે આ નિયમ ભવિષ્યમાં અનિવાર્ય બનશે, પરંતુ હાલ પૂરતું યુઝર્સ અને કંપનીઓને તૈયારી માટે સમય અપાયો છે. હાલમાં વેબ વર્ઝન પર જે 6 કલાકમાં ઓટોમેટિક લોગ-આઉટ થવાનો નિયમ હતો, તે પણ હાલ પૂરતો મુલતવી રખાયો છે.