Tuesday, Apr 7, 2026

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવદેહ કોચ્ચી પહોંચ્યા

2 Min Read

કુવૈતમાં વિવિધ કારણોસર જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે લાંબી રાહ જોયા બાદ કેરળના કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે વિમાન સેવાઓમાં મોટો વિક્ષેપ પડ્યો હતો, જેના લીધે આ મૃતદેહોને ભારત લાવવામાં ઘણો સમય લાગ્યો હતો. કુવૈત એરવેઝની વિશેષ ઉડાન KU5632 કોલંબો થઈને કોચ્ચી પહોંચી હતી. આ એક ખાસ ફ્લાઇટ હતી જેમાં કોઈ મુસાફરો નહોતા, તે માત્ર પાર્થિવ દેહ લાવવા માટે જ ઓપરેટ કરવામાં આવી હતી.

એરપોર્ટ પ્રશાસનના જણાવ્યા અનુસાર, વિમાન લેન્ડ થતાની સાથે જ તમામ 20 મૃતદેહોને તેમના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મૃતકોમાં મોટાભાગના લોકો કેરળના કોઝીકોડ, અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી હતા. આ ઉપરાંત, કેટલાક મૃતદેહોને સડક માર્ગે તમિલનાડુ મોકલવા માટે એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી જ પૂર્ણ કરી લેવામાં આવી હતી.

મહત્ત્વની વાત એ છે કે, આ મૃત્યુને ત્યાં ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ યુદ્ધના કારણે પેદા થયેલી વ્યુહરચના અને ફ્લાઇટના ખોરવાયેલા શેડ્યૂલને કારણે આ વિલંબ થયો હતો. લાંબા સમયથી પડતર રહેલી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ હવે તમામ પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સંઘર્ષોની અસર માત્ર જીવતા લોકો પર જ નહીં, પણ માનવીય સંવેદનાઓ અને અંતિમ સંસ્કાર જેવી પ્રક્રિયાઓ પર પણ પડે છે.

Share This Article