સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર છેલ્લા ચાર દિવસથી લાગેલી ભીષણ આગ આખરે કાબૂમાં આવી છે. સુરત ફાયર વિભાગની સતત કામગીરી બાદ ચાર દિવસ બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી છે, જેનાથી આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
આગ લાગવાની ઘટના અને તેના પાછળના આક્ષેપોને લઈને સુરત મનપા કમિશનર એમ. નાગરાજનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં ગરમીના કારણે મિથેન ગેસ ઉત્પન્ન થતો હોય છે. ઉનાળાની પ્રચંડ ગરમીમાં આ મિથેન ગેસ સક્રિય થતા આગ ભભૂકી ઉઠી હતી. કમિશનરે કોઈ પણ પ્રકારના માનવસર્જિત આક્ષેપોને નકારીને આ ઘટના પાછળ કુદરતી અને વૈજ્ઞાનિક કારણ હોવાનું જણાવ્યું છે.
નોંધનીય છે કે, ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરોમાં લાગેલી આગને કારણે સુરતના દક્ષિણ વિસ્તારમાં ધુમાડાના કારણે પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ફાયર વિભાગના ડઝનબંધ ટેન્ડરો અને કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. મનપા દ્વારા હવે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ડમ્પિંગ સાઈટ પર ગેસ વેન્ટિલેશન અને કચરાના નિકાલની પ્રક્રિયાને વધુ સઘન બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.