ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ગંભીર સંઘર્ષના કારણે ઉર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારત સરકારે ઈંધણના ભાવને અંકુશમાં લેવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે પેટ્રોલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને માત્ર ₹3 પ્રતિ લિટર કરી દીધી છે. જ્યારે ડીઝલ પરની કક્યુટી ₹10 થી ઘટાડીને ‘શૂન્ય’ કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી મધ્યમ વર્ગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને મોટી રાહત મળવાની આશા છે.
પેટ્રોલ ડીઝલના ભાવ કેમ ઘટશે નહીં?
28 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થયો હોવા છતાં રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હોવાથી ભારતમાં ફ્યુઅલ માર્કેટિંગ કંપનીઓ દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)ને થોડી રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.
મની કન્ટ્રોલના એક રિપોર્ટ અનુસાર, HPCLના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ.કે. સુરાનાના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો હેતુ ગ્રાહકોને તાત્કાલિક રાહત આપવાને બદલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને નાણાકીય તણાવથી બચાવવાનો છે.
તેમણે ઉમેર્યું કે, પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા થી ઘટાડી ને 3 રૂપિયા કરવામાં આવી છે. તો ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. જો કે, સુરાનાએ સંકેત આપ્યા હતા કે, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવા છતાં નજીકના ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલની છુટક કિંમતમાં ફેરફાર થવાની શક્યતા નથી.
રાહતની વાત એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીપી પીએલસીએ પેટ્રોલ અને ડીઝલની કિંમત હજી સુધી વધારી નથી. બજારમાં લગભગ 90 ટકા હિસ્સો ધરાવતા સરકારી માલિકીના ઇંધણ રિટેલરો હજી પણ ભાવો સ્થિર રાખી રહ્યા છે.
વૈશ્વિક બજારમાં પણ શુક્રવારે રાહતના સમાચાર મળ્યા છે. અમેરિકાએ ઈરાનની ઉર્જા સુવિધાઓ પરના હુમલા 10 દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરતા કાચા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.8% ઘટીને $107.11 પ્રતિ બેરલ અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) 0.88% ઘટીને $93.65 પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલી આ નરમાઈ અને ભારત સરકારની કક્યુટી કટ – આ બંને પરિબળો ભેગા મળીને ભારતીય ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલ સસ્તું બનાવશે.