ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધતું જાય છે. ત્યારે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચેની વાતચીત બાદ આ સહમતિ બની છે. રિપોર્ટ મુજબ જે જહાજો અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા નથી, તેમને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે. આ જ કારણસર હાલમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે.
બીજી તરફ, ઈરાને બુધવારે રાત્રે ફારસની ખાડીમાં ‘સેફસી વિષ્ણુ’ નામના એક અમેરિકી તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો. જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે.