ઉનાળો શરુ થતા જ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ગરમીમાં ઠંડું પાણી વધારે પીવાની ઇચ્છા થાય છે. ઘણા પરિવારો સ્વાસ્થ્યના કારણે ઠંડા પાણી માટે રેફ્રિજરેટરને બદલે માટીના માટલાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. માટીના માટલામાંથી નીકળતું મીઠું પાણી અમૃત જેવું લાગે છે. ઉનાળાનું આ દેશી ફ્રિજ પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે, તેના ક્ષારયુક્ત ગુણો શરીરના pH સ્તરને સંતુલિત કરવામાં પણ જાદુઈ અસર બતાવે છે.
જોકે માટલાના પાણીની મીઠાશ ફક્ત ત્યારે જ ફાયદાકારક છે જો તેની જાળવણીમાં યોગ્ય કાળજી લેવામાં આવે. સહેજ પણ બેદરકારી ફાયદાને બદલે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ માટલાના પાણીનો ઉપયોગ કરતી વખતે કઇ ભૂલો ટાળવી જોઇએ.
માટલામાં સીધો ગ્લાસ નાખવાનું ટાળો
માટલામાંથી પાણી પીવા માટે સીધો હાથ અથવા ગ્લાસ નાખવાનું ટાળો. હંમેશા લાંબા હાથા વાળો ડોયો અથવા નળવાળું માટલું ખરીદો. આમ કરવાથી ચેપ ફેલાવવાનું જોખમ ઓછું થઇ જાય છે.
માટલાને ક્યારેય સીધા સૂર્યપ્રકાશમાં ન રાખો. સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઇ જાય છે, સાથે-સાથે માટીના કુદરતી ગુણો ઉપર પણ અસર પડે છે. તેને ઘરના સૌથી ઠંડા અને છાંયડાવાળા ખૂણામાં રાખવું શ્રેષ્ઠ છે. માટલાને ભીના કોથળા અથવા કપડાથી લપેટી રાખવામાં આવે તો વાષ્પીકરણ સુધરે છે, જેના કારણે પાણી વધારે ઠંડુ અને શુદ્ધ રહે છે.
માટલાને દર 2-3 દિવસે ખાલી કરો અને તેને સ્વચ્છ પાણીથી ઘસીને ધોઈ લો. સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આનાથી માટલાના રોમછીદ્ર કેમિકલ શોષી શકે છે.
માટીના માટલાની પણ એક સેલ્ફ લાઇફ હોય છે. સમય જતાં તેના સૂક્ષ્મ છિદ્રો બંધ થઇ જાય છે, જેથી પાણી ઠંડુ થવું ઓછું થઇ જાય છે. સારા સ્વાસ્થ્ય અને તાજગી માટે દર વર્ષે નવું માટલું ખરીદવું એ સારો ઉપાય હોઈ શકે છે.
આપણે ઘણીવાર માટલાની સફાઇ કરીએ છીએ પરંતુ તેના ઢાંકણાની અવગણના કરીએ છીએ. માટલાને હંમેશા એવી પ્લેટ અથવા ઢાંકણાથી ઢાંકો જે સારી રીતે ફિટ થાય, જેથી ધૂળ, ગંદકી અથવા જંતુઓ પાણીમાં ન જાય. તેને પણ માટલા સાથે સાફ કરવું જોઈએ.