Thursday, Mar 12, 2026

હોર્મુઝ નજીક કાર્ગો જહાજ પર ઇરાની હુમલો: બે ભારતીયોના મોત, એક લાપતા

3 Min Read

ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી રીતે ભારત પર જોવા મળી રહી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને ગુજરાતના કંડલા આવી રહેલા એક થાઈ કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો. દુ:ખની વાત એ છે કે, આ ઘટનામાં બે ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક ભારતીય હજુ લાપતા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરી નિંદા કરતા વેપારી જહાજો અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મૂકવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.

આ હુમલા પાછળ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ પોતાનો બચાવ રજૂ કર્યો છે. IRGC નું કહેવું છે કે, લાઇબેરિયાના ધ્વજવાળા જહાજ ’એક્સપ્રેસ રોમ’ અને થાઈ જહાજ ’મયુરી નારી’એ તેમની ચેતવણીઓ કાને ધરી ન હતી અને પરવાનગી વગર જ હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી.

ખુલ્લી ધમકી: IRGC નેવી કમાન્ડર અલીરેઝા તાંગસિરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચીમકી આપી છે કે આ વિસ્તારમાંથી પસાર થવા માટે કોઈપણ જહાજે ઈરાનની મંજૂરી લેવી જ પડશે. ટાર્ગેટ કોણ છે?: ઈરાની સેનાએ સરકારી ટીવી પર એવી પણ જાહેરાત કરી છે કે અમેરિકા, ઈઝરાયલ કે તેમના સાથી દેશો સાથે જોડાયેલા કોઈપણ જહાજને તેઓ નિશાન બનાવશે.

પશ્ચિમ એશિયાની આ ગંભીર અને તંગ પરિસ્થિતિને જોતા ભારત સરકાર ઈરાનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને પણ અત્યંત ચિંતિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે જણાવ્યું કે હાલમાં ઈરાનમાં આશરે 9,000 જેટલા ભારતીયો ફસાયેલા છે.

અગાઉ ભારત સરકારે નાગરિકોને ત્યાંથી નીકળી જવા અને સાવચેતી રાખવા માટે એડવાઈઝરી (સલાહ) જારી કરી હતી. આ સલાહ માનીને ઘણા લોકો સુરક્ષિત રીતે ઘરે પરત ફરી ચૂક્યા છે. જોકે, હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં રહેલા છે અને ભારતીય દૂતાવાસ સતત તેમના સંપર્કમાં રહીને તેમને મદદ પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટના અને તેમાં થયેલા ભારતીયોના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમને અહેવાલ મળ્યા છે કે 11 માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈ કાર્ગો જહાજ ’મયુરી નારી’ પર હુમલો થયો છે. આ જહાજ ગુજરાતના કંડલા બંદરે આવી રહ્યું હતું.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં ભારતનો વિરોધ નોંધાવતા કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વેપારી જહાજોને આ રીતે નિશાન બનાવવાની ભારત સખત નિંદા કરે છે. આ હુમલામાં ભારતીયો સહિત નિર્દોષ લોકોના જીવ ગયા છે. કોઈપણ સંજોગોમાં કાર્ગો જહાજો અને નિર્દોષ નાગરિકોના જીવને જોખમમાં મૂકવાનું ટાળવું જોઈએ.

Share This Article